સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેચનો ઐતિહાસિક ચુકાદો..વાંચો
- કલમ 370 રદ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય સાચો…સાચો….સાચો
- લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય ઉપર પણ મંજૂરીની મહોર
- જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપી 30 સપ્ટેમ્બર 2024 પહેલાં ચૂંટણી યોજવા આદેશ
સર્વોચ્ચ અદાલત તા વડા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ તથા જસ્ટિસ બી.આર ગવઇ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ સંજય કિશન કોલ,અને જસ્ટિસ સંજય ખન્નાની બંધારણીય બેંચે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ 370 ને રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય અને બંધારણીય ગણાવતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે જમ્મુ કાશ્મીરમાંથી લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના સરકારના નિર્ણયને પણ યોગ્ય ઠરાવ્યો હતો. સાથે જ જમ્મુ કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો આપી અને 30 મી સપ્ટેમ્બર 2024 સુધીમાં ધારાસભાની ચૂંટણીઓ યોજવા ચૂંટણી પંચને આદેશ કર્યો હતો.
કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરી હતી. તેની સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી કુલ 23 અરજીઓ પર ચુકાદો આપતા બંધારણીય ખંડપીઠે જણાવ્યું કે કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી.બંધારણની કલમ 1 અને 370 ઉપરથી સ્પષ્ટ થાય છે કે જમવું અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને ભારતના બંધારણની તમામ જોગવાઈઓ જમીન જમ્મુ કાશ્મીરમાં લાગુ પડી શકે છે. સમગ્ર દેશમાં ભારે ઉત્તેજના ચગાવનાર આ કાનૂની જંગમાં સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા ને પગલે કેન્દ્રની ભાજપ સરકારનો વિજય થયો છે.
કેન્દ્ર સરકારે 370 ની કલમ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યા બાદ કાનૂની જંગના મંડાણ થયા હતા. અરજકર્તાઓએ આ કેસ સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ ને સોંપવાની માગણી કરી હતી જે સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી હતી અને સુનાવણી માટે પાંચ ન્યાયાધીશોની બેંચની રચના કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે બીજી ઓગસ્ટ થી સુનાવણી હાથ ધરી હતી. 16 દિવસની સુનાવણીને અંતે પાંચમી સપ્ટેમ્બરે અદાલતે ચુકાદો સુરક્ષિત રાખ્યા બાદ સોમવારે કેન્દ્ર સરકારના દરેક પગલાને યોગ્ય અને બંધારણીય ગણાવી મંજૂરીની મહોર મારી હતી.
ચુકાદાના મહત્વના અંશ
કલમ 370 એ જમ્મુ અને કાશ્મીરના ભારતમાં વિલીનીકરણને સરળ બનાવવા માટે અસ્થાયી જોગવાઈ હતી. જે તે સમયે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વચગાળાના ધોરણે આ કલમ લાગુ કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ તેને રદ કરી શકે છે.
જમ્મુ અને કાશ્મીર જ્યારે ભારતમાં જોડાયું ત્યારે તેનું ભારતના અન્ય રાજ્યોથી અલગ કોઈ આંતરિક સાર્વભૌમત્વ ન હતું અને જ્યારે તે ભારતમાં ભળ્યું ત્યારે તેની બંધારણ સભાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું. જમ્મુ કાશ્મીર બંધારણ સભાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું તે સાથે જ તે ખાસ શરત કે જેને કારણે 370 મી કલમ લાગુ કરવામાં આવી હતી તેનું અસ્તિત્વ પણ ખતમ થઈ ગયું છે.
જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાનો હેતુ કાયમી સંસ્થા બનવાનો નહોતો. બંધારણ ઘડવા માટે જ તેની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી.
સરકારના દરેક નિર્ણયને પડકારી શકાય નહીં
કલમ 356 નો ઉપયોગ કરી અને રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણય અંગે સર્વોચ્ચ અદાલતે કોઈ ચુકાદો આપ્યો નહોતો કારણ કે સરકારના એ પગલાને અરજકર્તાઓએ પડકાર્યું નહોતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કલમ 356 ના અમલ બાદ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવાતા હોય છે. સરકારના દરેક નિર્ણયને પડકારી શકાય નહીં અને અદાલત પણ દરેક નિર્ણયમાં હસ્તક્ષેપ ન કરી શકે કારણ કે અન્યથા અરાજકતા ફેલાઇ શકે છે. વડાન્યાયમૂર્તિએ ચુકાદામાં કહ્યું કે સરકારના પગલાંને કારણે કોઈ મુશ્કેલી સર્જાય તો એ સંજોગોમાં અદાલતનો આશરો લઈ શકાય છે. તેમણે અરજકર્તાઓની એ દલીલ માનવાનો પણ ઇન્કાર કર્યો હતો કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સરકાર જેમાં ફેરફાર ન થઈ શકે એવો કોઈ નિર્ણય લઈ શકતી નથી.
અદાલતમાં કોણે કોણે દલીલો કરી
સરકાર પક્ષે એટર્ની જનરલ આર. વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, સિનિયર ધારાશાસ્ત્રીઓ સર્વે શ્રી હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી અને વી.ગીરીએ દલીલો કરી હતી.જ્યારે અરજકર્તાઓ વતી સિનિયર ધારાશાસ્ત્રીઓ કપિલ સિબલ,ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન,ઝફર શાહ અને દુષ્યંત દવે એ મોરચો સંભાળ્યો હતો.
370 અને 35 A ને કારણે આટલા વિશેષ અધિકારો મળતા હતા
કલમ 370 ની જોગવાઈઓને કારણે ભારતની સંસદ જમ્મુ કાશ્મીરમાં માત્ર રક્ષા, સંચાર વ્યવસ્થા તેમજ વિદેશ નીતિ સંબંધી કાયદાઓ જ બનાવી શકતી હતી. જમ્મુ કાશ્મીરમાં 356 ની કલમ લાગુ નહોતી થઈ શકતી. રાષ્ટ્રપતિ પાસે રાજ્યના બંધારણને બરખાસ્ત કરવાનો અધિકાર નહોતો. જમ્મુ કાશ્મીર સિવાયના ભારતના નાગરિકો જમીન ખરીદી શકતા નહોતા. જમ્મુ કાશ્મીરમાં આર્થિક કટોકટી લાદી શકાતી નહોતી. આરટીઓ અને કેગ જેવા કાયદા લાગુ પડતા નહોતા જમ્મુ કાશ્મીરના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવતા હતા. રાજ્યનો અલગ રાષ્ટ્રધ્વજ હતો. વિધાનસભા નો કાર્યકાળ છ વર્ષનો હતો. ભારતની સર્વોચ્ચ અદાલતના ચુકાદા જમ્મુ કાશ્મીરને બંધન કરતા નહોતા. જમ્મુ કાશ્મીર ની કોઈ મહિલા ભારતના અન્ય રાજ્યની કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેની નાગરિકતા સમાપ્ત થઈ જતી તેની સામે એ મહિલા જો પાકિસ્તાનના નાગરિક સાથે લગ્ન કરે તો એ પાકિસ્તાની નાગરિકને પણ જમ્મુ કાશ્મીરની નાગરિકતા પ્રાપ્ત થઈ જતી.
કલમ 35 A દ્વારા પણ જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકારો પ્રાપ્ત થયા હતા 14 મે 1954 પહેલા કાશ્મીરમાં વસતા હોય એવા લોકોને જ સ્થાયી નિવાસી માનવામાં આવ્યા હતા એ સિવાયના ભારતના કોઈ નાગરિક રાજ્યમાં સંપત્તિ ખરીદી શકતો નહીં, નોકરી મેળવી શકતો નહીં, જમ્મુ કાશ્મીરની યુનિવર્સિટીમાં અભ્યાસ ન કરી શકતો તેમજ જમ્મુ કાશ્મીર સરકારની કોઈપણ નાણાકીય સહાય પણ મેળવવાનો અધિકાર નહોતો. 1965 સુધી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ કે મુખ્યમંત્રીના દરજ્જા નહોતા. તેણે બદલે સદર એ રિયાસત અને વડાપ્રધાનના હોદ્દા હતા. બાદમાં 370 ની એ જોગવાઈ હટાવી દેવામાં આવી હતી.