સિવિલનો વહીવટ ખખડીને ખાડે: દવા નહીં મળતાં થેલેસેમિક દર્દીઓની માઠી
કેસ્ફેર ટેબ્લેટ-ડેસ્ફેરાલ ઈન્જેક્શન ઘણા સમયથી સ્ટોકમાં ન હોવા છતાં તંત્ર તેના માટે મહેનત કરવામાં વામણું: સરકાર દ્વારા જ સપ્લાય થતી ન હોવાનો ખુલાસો
વૉઈસ ઑફ ડે, રાજકોટ
સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દીને વિનાવિઘ્ને સારવાર મળી જાય અને તે હસતાં મોઢે બહાર નીકળે તો ખરેખર નવાઈ પામવા જેવી વાત ગણાશે ! દરરોજ સિવિલમાં કોઈને કોઈ બાબતે વિવાદ સામે આવતો જ રહે છે ત્યારે હવે તો થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતાં દર્દીઓની હાલત માઠી થઈ જવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે સિવિલનો વહીવટ ખખડીને ખાડે ચાલ્યો ગયો હોય તેવી રીતે છેલ્લા એક મહિનાથી ૬૦૦ જેટલા થેલેસેમિક દર્દીઓને અત્યંત ઉપયોગી એવી દવા અને ઈન્જેક્શન જ સ્ટોકમાં ન હોવાથી રીતસરની રઝળપાટ થઈ જવા પામી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે થેલેસેમિક દર્દીઓને જ્યારે લોહી ચડાવવામાં આવે ત્યારે કેસ્ફેર ટેબ્લેટ અને ડેસ્ફેરાલ ઈન્જેક્શન આપવામાં આવતાં હોય છે જેથી લોહીમાં આર્યનનું પ્રમાણ જળવાયેલું રહે. જો કે આ દવા-ઈન્જેક્શન છેલ્લા એક મહિનાથી સિવિલમાં ઉપલબ્ધ જ ન હોવાને કારણે દર્દીઓને બહારથી વેચાતું લેવા મજબૂર બનવું પડી રહ્યું છે. બીજી બાજુ સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ કારણોસર દવા-ઈન્જેક્શનની વ્યવસ્થા કરી શકવામાં આવતી ન હોય દર્દીઓ આમથી તેમ ભટકી રહ્યા છે. સરકાર દ્વારા દવા-ઈન્જેક્શનને સપ્લાય લીસ્ટમાંથી જ કાઢી નાખવામાં આવ્યા હોવાને કારણે હવે દવાના સરકારી ગોડાઉન પરથી પણ સપ્લાય થઈ રહી નથી એટલા માટે હવે સિવિલને પણ દવા-ઈન્જેક્શન વેચાતા લઈને દર્દીઓને પૂરા પાડવા પડશે. જો કે દવા-ઈન્જેક્શન ક્યારે આવશે તે કહેવાની સ્થિતિમાં અત્યારે કોઈ જ નથી !