તહેવારોના પગલે રાજકોટ બસ પોર્ટ ભરચક: પંચમહાલ, ગોધરા, દાહોદ માટે ૧૫ બસનું ગ્રુપ બુકિંગ
લાંબા રૂટની બસમાં તા.૧૨ સુધીનું એડવાન્સ બુકિંગ, રિઝર્વેશન માટે મુસાફરોની લાંબી કતારો
રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓમાં બુધવાર સાંજથી વેકેશન પડી જતાં તેમજ પરપ્રાંતિય લોકો વતનની વાટ પકડતાં બસપોર્ટ ઉપર મુસાફરોનો ટ્રાફિક ધમધમતો થઈ ગયો છે. સામાન્ય રીતે તહેવારોમાં એસટીની બસો ભરચક જામ છે ત્યારે બુધવાર સાંજથી પંચમહાલ, ગોધરા, દાહોદ, સુરત તરફ જતી એકસ્ટ્રા બસની સંખ્યામાં વધારો થયો છે. બુધવારે મોડી રાત સુધીમાં એકસ્ટ્રા બસ દોડાવ્યા બાદ બુધવારે એક સાથે ૧૨ એસટી બસનું ગ્રુપ બુકિગ થઈ ગયું છે. એકસાથે આખી એસટી બસમાં બાવન બેઠકનું એડવાન્સ બુકિંગ વધતા બસ પોર્ટના પ્લેટફોર્મ ઉપર સાંજ બાદ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો.
એસટીની બસ બરચક હોવા છતાં મુસાફરો રાતની બસમાં ભાગ્યે જ જતા હોવાની વિગતો બહાર આવી છે. મોંઘવારીને ધ્યાનમાં રાખી સલામત સવારી એસટી બસમાં જ મુસાફરી કરવાનો વિશેષ આગ્રહ રાખતા હોય છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો હોય કે સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાં મુસાફરી કરવાની થાય તો સમયના ભોગે નાછૂટકે બસ પોર્ટની પાછળના ભાગમાં ખડકાઈ ગયેલા ખાનગી ટ્રાવેલ્સના મિનિ બસ સ્ટેન્ડની બસમાં પહોંચી જાય છે. અમરેલી તરફ, જામજોધપુર, ભાણવડ, જૂનાગઢ, ભાવનગર, લાલપુર તરફથી રાતની બસો પણ બુધવારથી ભરચક દોડી રહી છે.
તહેવારોમાં ફરવાનો સૌથી વધુ ક્રેઝ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો ઉપર જોવા મળે છે. શાળાના બાળકોને ૨૧ દિવસનું વેકેશન તો સરકારી કર્મચારીઓને પાંચ દિવસની સળંગ રજા મળતા જ દ્વારકા, દીવ, સોમનાથ, ભુજ તરફ મુસાફરોનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં રાજકોટ એસટી પોર્ટ ઉપર પ્લેટફોર્મ ઉપર લાંબા રૂટની બસ ભરાઈ ગયા બાદ મુસાફરોની સંખ્યા વધુ જોવા મળે તો તુરંત જ બીજી એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવે છે. રાજ્યના એસટી નિગમ તરફથી તમામ જિલ્લાના ડી.સી.ને તાકિદ કરવામાં આવી છે કે મુસાફરોને તહેવારોમાં કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાને રાખજો.
ખાનગી ટ્રાવેલ્સમાં તા.૧૨ સુધીનું બુકિંગ
શનિવારથી સરકારી કચેરીઓમાં રજા પડવાની છે ત્યારે રાજકોટના ખાનગી ટ્રાવેલ્સના ધંધાર્થીઓને ત્યાં પણ તા.૧૨ સુધીનું એડવાન્સુ બુકિંગ થઈ ગયું છે. રાજકોટથી લાંબા રૂટમાં અમદાવાદ, વડોદરા તરફનું બુકિંગ થયાનું જાણવા મળ્યું છે. રવિવાર બાદ તેમજ બેસતા વર્ષના દિવસે સાંજના ભાડામાં પણ ટ્રાવેલ્સની બસો મોટાભાગે ભરચકક થઈ જશે તેમ ટ્રાવેલ્સના ધંધાર્થીઓએ જણાવ્યું છે.