રાજકોટના“ચમત્કારિક હનુમાનજી મંદિર”માં એકપણ દરવાજો નથી
કાલાવાડ રોડ પર એ.જી.ચોકમાં આવેલા આ મંદિરમાં ભક્તો દિવસ-રાત કરી શકે છે દર્શન: ભક્તો જ હનુમાનજીને ચડાવે છે તેલ
મંદિરમાં મોટી સંખ્યામાં આવે છે યુવાનો: યુવાનોશનિવારે 15 થી 17 જેટલા વાદ્યો વગાડીને કરે છે આરતી
રાજકોટમાં એક એવું મંદિર છે કે જે મંદિરમાં કોઈ મુખ્ય દરવાજા જ નથી. અહી ભક્તો રાત-દિવસ ભગવાનના દર્શન કરી શકે છે. આ મંદિર છે શહેરના કાલાવાડ રોડ પર એ.જી.ચોકમાં આવેલું “ચમત્કારિક હનુમાનજી” મંદિર. 14 વર્ષ પહેલા માત્ર નાની દેરી સ્વરૂપે અહી હનુમાનજી દાદાનું મંદિર હતું જ્યાં આજે વિશાળ પટાંગણમાં હનુમાનજી દાદા ઉપરાંત શિવાલય અને શનીદેવનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે.
એ. જી. ચોકમાં આવેલા આ “ચમત્કારિક હનુમાનજી” મંદિરની સ્થાપના સ્વ. બળવંતસિંહ રાઠોડે (એડવોકેટ) કરી હતી. મંદિરમાં પૂજા-સેવા કરતાં પૂજારી ગિરિ બાપુએ મંદિર વિશે જણાવ્યું હતું કે, સ્વ. બળવંતસિંહના મિત્રો મંદિરનું નામ બળવંતા હનુમાન રાખવાનું કહેતા હતા પરંતુ મંદિર બનાવવા માટે સિમેન્ટ, લોખંડ, રેતી સહિતના સામાનની જરૂરિયાત રહે છે ત્યારે આ મંદિર નિર્માણ કઈ રીતે થશે? તેવું સ્વ. બળવંતસિંહ વિચારતા હતા. પરંતુ લોકો સામેથી જ આવીને પોતાની શકિત પ્રમાણે રેતી, સિમેન્ટ સહિતની સામગ્રી આપી જતાં હતા. જે ચમત્કાર જોઈને તેમણે મંદિરનું નામ “ચમત્કારિક હનુમાનજી” મંદિર રાખ્યું.
શરૂઆતમાં અહી હનુમાનજીની નાની દેરી હતી. બાદમાં મંદિરનો વિકાસ થયો. હનુમાનજી ભક્ત એવા મયૂરધ્વજસિંહ જાડેજા (જે.એમ.જે.ગ્રુપ)એ મંદિરના વિકાસ માટે પહેલ કરી અને તેમણે હનુમાનજીનું મોટું મંદિર બંધાવી જીણોદ્ધાર કરાવ્યો. જ્યારે અન્ય ભક્ત નિલેશભાઈ જોબનપુત્રાએ શની મંદિર અને ઘનશ્યામભાઈ જોબનપુત્રાએ શિવાલયનું નિર્માણ કરાવ્યું. આજે મંદિરમાં અનેક ભક્તો પોતાની અતૂટ શ્રદ્ધા સાથે દર શનિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
આમંદિરની વિશેષતા એ છે કે, આ ચમત્કારિક હનુમાનજી મંદિર રાજકોટનું એવું પ્રથમ મંદિર છે કે મંદિરમાં કોઈ દરવાજા જ નથી. અહી ભક્તો રાત-દિવસ ગમે ત્યારે દર્શન કરી શકે છે. જ્યારે અહી હનુમાનજીને ભક્તો પોતે જ તેલ ચડાવી શકે છે. જ્યારે અન્ય વિશેષતા એ છે કે, અ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો દર્શનાર્થે આવે છે. તો બીજી બાજુ યુવાનો પોતાના જન્મદિવસે કેક કટિંગ કરવાને બદલે અહી શનિવારે ભોજન-પ્રસાદના દાતા બને છે. ઉપરાંત મંદિરમાં શનિવારે આરતીમાં મોટી સંખ્યમા યુવાનો ભાગ લે છે અને 15 થી 17 જેટલા વાદ્યો વગાડીને આરતી કરે છે. એક બાજુ આજના આધુનિક સમયમાં અનેક યુવાનો વ્યસન-ફેશન પાછળ ઘેલા બન્યા છે ત્યારે શહેરના કેટલાક યુવાનોનું એક એવું ગ્રુપ છે કે જે દર શનિવારે અને મંગળવારે મંદિરમાં આવે છે અને મંદિરની સાફ સફાઇ પણ કરે છે.
મહત્વનું છે કે, મંદિરની સ્થાપના કરનાર સ્વ. બળવંતસિંહનું નિધન આ જ મંદિરમાં થયું હતું. તા.5-4-2022ને મંગળવારે બળવંતસિંહ મંદિરમાં સવારે આરતી સમયે હાજર અને ત્યારે જ મંદિરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
દર શનિવારે ભક્તોને અપાય છે પ્રસાદ
ચમત્કારિક હનુમાનજી મંદિરમાં છેલ્લા 14 વર્ષથી દર શનિવારે મંદિરમાં આવતા ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે. જ્યારે દર હનુમાન જયંતીના દિવસે 15 થી 18 હજાર અને શની જયંતીના દિવસે અંદાજે 10 હજાર જેટલા ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં ભક્તો કે દાતા જે ભેટ સ્વરૂપે કે દાન સ્વરૂપે રૂપિયા આપે છે તે રકમનો ઉપયોગ ભક્તોને આપવામાં આવતા ભોજન-પ્રસાદ માટે કરવામાં આવે છે. જ્યારે મંદિર કમિટીના 15 સભ્યો છે જે સ્વયંસેવક તરીકે ફરજ બજાવે છે પ્રસાદનું વિતરણ કરે છે.
સેવાકીય પ્રવુતિનું પણ થાય છે આયોજન
ચમત્કારિકહનુમાનજી મંદિરમાં કમિટીના સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃતિનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં હેલ્થ કેમ્પ, આયુર્વેદિક કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, તુલસીના છોડ વિતરણ, ચકલીનામાળા-કુંડાનું વગેરેનું નિ:શુલ્ક વિતરણ પણ આ મંદિરમાં કરવામાં આવે છે. કમિટીમાં અંદાજે 15 જેટલા સભ્યો છે જે આ સેવાકીય પ્રવુતિ સમયે પોતાની નોકરી-ધંધામાંથીસમય કાઢીને ચોક્કસ હાજર રહે છે.
