ઓનર કિલિંગ: ભાજપ અગ્રણીએ પુત્રીના પ્રેમીનું અપહરણ કરી હત્યા કરી
હત્યામાં સંડોવાયેલ સાત શખ્સો પોલીસ સકંજામાં,બેની શોધખો
વોઇસ ઓફ ડે રાજકોટ
જેતપુર પંથકમાં ઓનર કિલીંગના બનાવથી સનસનાટી મચી ગઈ છે.જેતપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પુત્રી સાથે પ્રેમ સબંધ ધરાવતા મોબાઈલના ધંધાર્થી કોળી યુવાનનું કારમાં અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવતા જેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સહિત ૯ સામે હત્યા પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલ 7 શખ્સોને પોલીસે સકંજામાં લીધા છે અન્ય બેની શોધખોળ શરૂ કરી છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય અને બન્ને ફોનમાં વાતચીત કરતાં હતા. જેની જાણ થઈ જતાં
સાગ્રીતોની મદદથી ભાજપના આગેવાને કોળી યુવાનનું કારમાં અપહરણ કર્યું હતું.
વિરપુર બસ સ્ટેશન પાસે રહેતા અને મેઈન બજારમાં કૈલાસ પાન નામની દુકાન ધરાવતાં ઉમેશ નટુભાઈ બારૈયાએ વિરપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જેતપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેશ નારણભાઈ બારૈયા, તેના સાગ્રીત નિતીન રમેશભાઈ મકવાણા, ઉમેશ ખોડાભાઈ ગોહિલ, ચંદ્રેશ ઉર્ફે ટીનો, લલિતભાઈ કંડોલીયા, ગજાનન ઉર્ફે ગજરાજ ખોડાભાઈ ગોહેલ, મયુર ઉર્ફે મેયલો પરષોતમભાઈ મેર, અલ્ફેજ ખાન સુજાત ખાન પઠાણ, વિક્રમ ઉર્ફે વિકી વિરજીભાઈ મેર અને લલિત દિનેશભાઈ રૂદ્રાત્રાનું નામ આપ્યા છે.
ઉમેશ નટુભાઈ બારૈયાનો નાનો ભાઈ હિતેશ નટુભાઈ બારૈયા જલારામનગર રોડ ઉપર આવેલ સરકારક કવાર્ટર પાસે બેઠો હતો. ત્યારે ભાજપના આગેવાન રાજેશ નારણભાઈ બારૈયા સહિતના શખ્સો ફોર વ્હીલ કાર અને બાઈકમાં ધસી આવી હિતેશનું બળજબરીથી અપહરણ કરી ગયા હતાં. પરિવારને જાણ થતાં હિતેશની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રાત્રીના હિતેશનો ફોન રિસીવ થયો હતો અને રાજુ બારૈયા એ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હિતેશ બે કલાકમાં મળી જશે. ઉપાધી કરતાં નહીં આજે મારી માનતા પુરી થઈ જશે. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં હિતેશના મોટાબાપુ કેશવભાઈ બારૈયાને હિતેશને મારી પાળ વાડીએ આવી ને લઈ તેમ ફોન આવતા પરિવારજનો રાજુ બારૈયાની વાડીએ દોડી ગયા હતાં.જ્યાં હિતેશ લોહી લોહાણ હાલતમાં મળ્યો હતો. પુછપરછ કરતાં હિતેનનું અપહરણ કર્યા બાદ થોરાળા ગામે નિતીન મકવાણાની વાડીએ લઈ જઈ હાથ પગ ભાંગી નાખ્યાનું તેણે જણાવ્યું હતું. બાદમાં પરિવારજનો હિતેશને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતાં હતાં ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે વિરપુર પોલીસે ઉમેશ નટુભાઈ બારૈયાની ફરિયાદને આધારે ગુનો નોંધી સાત શખ્સોને સકજામાં લીધા છે.