સુરેન્દ્રનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ખાણ ખનીજ વિભાગ અને પોલીસનું મેગા ઓપરેશન
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે કાળા પથ્થરની ચોરીનું મોટું રેકેટ પકડાયું છે ગેરકાયદેસર ખોદકામ કરનારને રૂ.270 કરોડનો દંડ ફટકારવામાં આવતા ખાણીયા રાજાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા જીલેટીન સ્ટીક, ડીટોનેટર, ડમ્પર, હીટાચી મશીન જપ્ત કરાયા છે. સાયલા પંથકમાં બેરોકટોક ચાલતા માટી અને કાળા પથ્થરોના ખનન પર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે શનિવારે સપાટો બોલાવ્યો હતો. સુદામડામાં તંત્રની ખનીજ ચોરી વિરુદ્ધની કામગીરીથી ખનીજોનું ગેરકાયદે ખનન વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન સ્થળ પરથી 17 ડમ્પર, 7 હીટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ સુદામડાની સીમમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કુલ 14 સર્વે નંબરમાં કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખૂલ્યું હતું.
કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખૂલ્યું
ખાન ખનીજ વિભાગ દ્વારા 14 સર્વે નંબરમાં ખોદકામ માપણી કરતા ભૂમાફિયાઓએ અત્યાર સુધીમાં 544.54.955.44. 540. 95 મેટ્રિક ટન કાળા પથ્થરનું ગેરકાયદે ખોદકામ થયાનો ખુલાસો થયો હતો. આથી આ ખનીજની ચોરી કરનારને ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી મોટો આશરે 270 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. તો ખાણ ખનીજ વિભાગ દ્વારા સુદામડાના ગભરુ મોગલ, સોતાજ યાદવ, કુલદીપ યાદવ, ભરત વાળા સહિત કુલ 27 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો અધધ કહી શકાય તેવો 270 કરોડ જેટલો દંડ ફટકારવામાં આવતા ખનીજ માફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. છેલ્લા 4 વર્ષથી ખનીજ માફિયા બ્લાસ્ટ કરીને ખનન કરતા હતા. ખનીજ માફિયાના બ્લાસ્ટિંગના કારણે ખેડૂતોને નુકસાન થતું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ વિરૂદ્ધ આસપાસનાં ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી