ભારતથી ન્યૂઝીલેન્ડ જતો સામાન હવે 100 ટકા કરમુક્ત
FT અને ન્યુઝીલેન્ડ સંસદની મંજૂરી : ન્યૂઝીલેન્ડના નિકાસ પર ટેક્સ ઘટશે, ભારે બહુમતીથી બિલ પાસ
વોઇસ ઓફ ડે । નવી દિલ્હી
ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે FTઅને લાગુ કરતા કાયદાને બહુમતીથી પસાર કરી દીધો છે. આ ઐતિહાસિક કરાર અંતર્ગત ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ સામાનને 100 ટકા ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.
સંસદમાં આ બિલના સમર્થનમાં 93 અને વિરોધમાં માત્ર 29 વોટ પડ્યા હતા. દેશહિત અને ભારત સાથેના વેપારને મજબૂત કરવાના હેતુથી મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટીએ પણ આનું ખુલીને સમર્થન કર્યું હતું. આ સમજૂતી હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારત આવતી આશરે 95 ટકા નિકાસ પર લાગતો ટેક્સ કાં તો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે અથવા તો ખૂબ જ ઓછો કરવામાં આવશે. એગ્રિમેન્ટ અમલી બનતાની સાથે જ અડધાથી વધુ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી તુરંત શૂન્ય થઈ જશે.
આ પણ વાંચો : ફિલ્મ સેન્સર બોર્ડમાં મોટા ફેરફાર
ન્યૂઝીલેન્ડના ટ્રેડ મિનિસ્ટર ટોડ મૅક્લેએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ એગ્રિમેન્ટ આ જ વર્ષથી અમલમાં આવી જશે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડ સરકારે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકન ડૉલરનું મોટું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે બંને દેશોએ આ વર્ષે એપ્રિલમાં આ એગ્રિમેન્ટ સાઈન કર્યા હતા અને જૂન 2026 સુધીના આંકડા મુજબ બંને વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 3.99 અબજ ન્યૂઝીલેન્ડ ડૉલર સુધી પહોંચી ગયો છે.
