SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
જો તમારું બેંક ખાતું દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં છે, તો આગામી મહિનાથી તમારા ખિસ્સા પર થોડો વધારાનો બોજ વધી શકે છે. બેંકે ATM દ્વારા નાણાં ઉપાડવા અને અન્ય સેવાઓ માટેના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે 1 ઓક્ટોબર, 2026થી અમલી બનશે.
સેવિંગ્સ એકાઉન્ટ માટે 4 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જ
SBI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બ્રાન્ચ મારફતે ખોલવામાં આવેલા બેસિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ્સ પર નવા ચાર્જિસ લાગુ થશે. નવા નિયમ હેઠળ ગ્રાહકોને દર મહિને માત્ર 4 વખત મફત નાણાં ઉપાડવાની સુવિધા મળશે. જો આ 4 ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરા થઈ જશે, તો દરેક વધારાના ATM વિથડ્રોઅલ પર ગ્રાહકે ₹15 + GST ચાર્જ તરીકે ચૂકવવા પડશે.
સેલરી એકાઉન્ટ ધારકો માટે ફ્રી લિમિટ અડધી થઈ
SBI સેલરી એકાઉન્ટ હોલ્ડર્સ માટે માસિક ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડીને સીધી અડધી કરી દેવામાં આવી છે. 1 ઓક્ટોબર, 2026થી સેલરી એકાઉન્ટ ધારકો અન્ય બેન્કોના ATM અને ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિથડ્રોઅલ મશીન (ADWMs) પર ડેબિટ કાર્ડ મારફતે દર મહિને માત્ર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન જ કરી શકશે, જે અગાઉ 10 ટ્રાન્ઝેક્શનની હતી.
આ પણ વાંચો: ફ્લેટના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં, કાયદેસરના વચન છે: સુપ્રીમ કોર્ટ!
ફાઇનાન્સિયલ અને નોન-ફાઇનાન્સિયલ બંને ટ્રાન્ઝેક્શનનો સમાવેશ
ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સેલરી એકાઉન્ટ માટે નક્કી કરાયેલા આ 5 ફ્રી ટ્રાન્ઝેક્શનમાં ફાઇનાન્સિયલ (નાણાં ઉપાડવા) અને નોન-ફાઇનાન્સિયલ (બેલેન્સ ચેક કરવું, મીની સ્ટેટમેન્ટ કાઢવું વગેરે) બંને પ્રકારની સેવાઓ ગણાઈ જશે. જો તમે માત્ર બેલેન્સ ચેક કરશો તો પણ તેને ફ્રી લિમિટમાંથી એક ગણવામાં આવશે.
મર્યાદા પૂરી થયા બાદ લાગનાર શુલ્ક
ફ્રી મર્યાદા પૂર્ણ થયા બાદ જો તમે અન્ય બેન્કના ATMમાંથી નાણાં ઉપાડશો (છઠ્ઠું ટ્રાન્ઝેક્શન), તો દરેક નાણાકીય ટ્રાન્ઝેક્શન પર ₹23 + GST ચૂકવવો પડશે. જ્યારે નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન (જેમ કે બેલેન્સ ચેક કરવું) માટે ₹11 + GST નો ચાર્જ લાગશે.
આમ, SBIના આ નવા નિયમો આવ્યા બાદ ગ્રાહકોએ ATM નો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું પડશે, જેથી બિનજરૂરી ચાર્જથી બચી શકાય. વધુ પડતા ટ્રાન્ઝેક્શન કરવાના બદલે ડિજિટલ પેમેન્ટ કે બેંકની અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ રહેશે.
