ક્લાસિક ફિલ્મ કાગઝ કે ફૂલ એ ગુરુ દત્તના જીવનની અગમવાણી હતી?
દુનિયામાં એવા ઘણા સર્જકો થયા છે જેઓ પોતાના સમય કરતા 10 કે 20 વર્ષ આગળ વિચારતા હતા. સમાજ તેમને ક્યારેય સમજી શકતો નથી. પણ જો કોઈ ડિરેક્ટર પોતાના જમાના કરતા 30 વર્ષ આગળ જઈને કોઈ ફિલ્મ બનાવે, તો તે ફિલ્મની કળા તેનું અમરત્વ બની જાય છે, પરંતુ તે ફિલ્મનું અર્થશાસ્ત્ર અને તેનો હિસાબ તેના સર્જકને જીવતેજીવ મારી નાખે છે! ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ ક્રૂર વિડંબના માત્ર એક જ માણસ સાથે બની છે, અને તે છે ગુરુ દત્ત. 1959માં જ્યારે આખો દેશ બ્લેક એન્ડ વ્હાઇટના નાના ચોરસ પડદા પર સામાન્ય ફિલ્મો જોતો હતો, ત્યારે ગુરુ દત્તે ભારતની સૌપ્રથમ સિનેમાસ્કોપ (વાઈડ સ્ક્રીન) ફિલ્મ બનાવી—કાગઝ કે ફૂલ! આજે આ ફિલ્મને વિશ્વ સિનેમાની સૌથી મહાન ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, પણ રિલીઝ વખતે તે એટલી ભયાનક રીતે પીટાઈ ગઈ કે ગુરુ દત્ત દેવામાં ડૂબી ગયા અને આખરે તેમણે આત્મહત્યા કરી લીધી. હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી મોટી ટ્રેજેડી અને એક સર્જકની દૂરંદેશીતાએ કેવી રીતે તેનો જ ભોગ લીધો તે આખો ઘટનાક્રમ રસપ્રદ છે.
જ્યારે તમે કાગઝ કે ફૂલ ફિલ્મ જુઓ છો, ત્યારે તમને લાગે છે કે આ કોઈ 1959 ની ફિલ્મ નથી, પણ હોલીવુડના કોઈ આધુનિક માસ્ટર ડિરેક્ટરની કૃતિ છે. વાર્તા એક એવા સફળ ફિલ્મ ડિરેક્ટર (સુરેશ સિંહા) ની છે, જે પોતાની જ શોધેલી એક્ટ્રેસ (શાંતિ/વહીદા રહેમાન) ના પ્રેમમાં પડે છે, સમાજ તેનો બહિષ્કાર કરે છે, તે દારૂની લતમાં ડૂબી જાય છે અને આખરે પોતાના જ જૂના સ્ટુડિયોની ખુરશીમાં એક અનામી માણસ તરીકે મોતને ભેટે છે.
સૌથી મોટી ડાર્ક કોમેડી એ છે કે ગુરુ દત્તે આ ફિલ્મમાં જે વાર્તા લખી હતી, તે બરાબર પાંચ વર્ષ પછી તેમની પોતાની અસલી જિંદગીની સ્ક્રિપ્ટ બની ગઈ!
ગુરુ દત્ત હંમેશા પરફેક્શનિસ્ટ હતા. પ્યાસાની પ્રચંડ સફળતા પછી તેમને લાગ્યું કે ભારતીય સિનેમાનો પડદો બહુ નાનો છે. તેમણે ભારતની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. સિનેમાસ્કોપ એટલે એવો એનામોર્ફિક લેન્સ જે સામાન્ય કેમેરા કરતા બમણું પહોળું (વાઈડ) દ્રશ્ય કેપ્ચર કરે છે. આ માટે તેમણે હોલીવુડની 20th સેન્ચ્યુરી ફોક્સ કંપની પાસેથી ખાસ લેન્સ મંગાવ્યા.
તેમણે અને તેમના કેમેરામેન વી. કે. મૂર્તિએ અદભુત પહોળા શોર્ટ્સ લીધા. સેટ અત્યંત ભવ્ય હતા. પણ અહીં જ તેમના કમનસીબની શરૂઆત થઈ. 1959 માં ભારતના 95% થિયેટરો પાસે આ સિનેમાસ્કોપ ફિલ્મને બતાવવા માટેના પહોળા પડદા અને પ્રોજેક્ટર લેન્સ જ નહોતા! થિયેટર માલિકોએ સામાન્ય પડદા પર જ ફિલ્મ ચલાવી. પરિણામે, ડાબી અને જમણી બાજુના દ્રશ્યો કપાઈ ગયા અને પાત્રોના ચહેરા દબાયેલા દેખાવા લાગ્યા. ગુરુ દત્તે જે ભવ્યતા કરોડોના ખર્ચે કેમેરામાં કેદ કરી હતી, તે દર્શકો સુધી પહોંચી જ નહીં. ટેકનોલોજીના અભાવે કળાની હત્યા કરી નાખી!
ગુરુ દત્તની સૌથી મોટી ભૂલ એ હતી કે તેઓ દર્શકોના બૌદ્ધિક સ્તરને બહુ ઊંચું સમજી બેઠા હતા. 1959 નો ભારતીય દર્શક ફિલ્મોમાં હીરોઈન પાછળ નાચતો હીરો, હેપ્પી એન્ડિંગ અને ડ્રામા જોવા માંગતો હતો. પણ કાગઝ કે ફૂલ અત્યંત ડાર્ક, ધીમી અને વિષાદથી ભરેલી ફિલ્મ હતી.
આ ફિલ્મમાં ગ્લેમર જગતની કડવી વાસ્તવિકતા બતાવવામાં આવી હતી. દર્શકોને એ સ્વીકારવું અઘરું પડ્યું કે એક સફળ અને અમીર ડિરેક્ટરનું આવું દયનીય મૃત્યુ થઇ શકે. દિલ્હીના એક થિયેટરમાં તો ગુરુ દત્ત પોતે દર્શકોનો પ્રતિસાદ જોવા બેઠા હતા. જ્યારે ફિલ્મ પૂરી થઈ અને લાઈટ ચાલુ થઈ, ત્યારે થિયેટરમાં લોકો ગાળો બોલી રહ્યા હતા અને કેટલાક લોકોએ ગુરુ દત્તને જોઈને તેમની પર કાગળના ડૂચા ફેંક્યા હતા! આ અપમાને ગુરુ દત્તના આત્માને કાયમ માટે તોડી નાખ્યો.
ગુરુ દત્તની ફિલ્મોનું સંગીત ક્યારેય વાર્તાથી અલગ નહોતું હોતું. કાગઝ કે ફૂલનું દરેક ગીત એક અલગ જ મનોવૈજ્ઞાનિક ઊંડાણ ધરાવે છે. ‘વક્ત ને કિયા ક્યા હસીં સિતમ’ ગીત તો આજે પણ સિનેમાના ઈતિહાસનું સૌથી આઇકોનિક બીમ શોર્ટ મનાય છે. પણ એક બીજું ગીત હતું—’દેખી જમાને કી યારી, બિછડે સભી બારી બારી’.
આ ગીત ફિલ્મનો માત્ર એક હિસ્સો નહોતો, તે ગુરુ દત્તની આવનારી જિંદગીની ભવિષ્યવાણી હતી. ફિલ્મના પતન પછી ધીમે ધીમે તેમના મિત્રો, તેમની પત્ની ગીતા દત્ત અને છેવટે વહીદા રહેમાન પણ તેમનાથી દૂર થઈ ગયા. તેમણે કાગઝ કે ફૂલ પછી ક્યારેય પોતાના નામથી કોઈ ફિલ્મ ડિરેક્ટ ન કરી (સાહિબ બીબી ઔર ગુલામ ના ડિરેક્ટર અબરાર અલવી હતા). પોતાની સર્વોચ્ચ કળાનો આ રીતે બહિષ્કાર થતો જોઈને ગુરુ દત્તે 10 ઓક્ટોબર 1964 ના રોજ માત્ર 39 વર્ષની ઉંમરે ઊંઘની ગોળીઓ ખાઈને આ દુનિયા છોડી દીધી.
1970 અને 80 ના દાયકા પછી જ્યારે યુરોપના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં કાગઝ કે ફૂલ બતાવવામાં આવી, ત્યારે આખી દુનિયાના વિવેચકો દંગ રહી ગયા! હોલીવુડના ડિરેક્ટર્સ માની જ ન શક્યા કે 1959 માં ભારતમાં કોઈ માણસ આટલી એડવાન્સ લાઈટિંગ, કેમેરા એંગલ અને ડીપ ફોકસ ટેકનિકનો ઉપયોગ કરી શકે છે.
આજે કાગઝ કે ફૂલને ટાઇમ મેગેઝીનથી લઈને સાઇટ એન્ડ સાઉન્ડની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં કાયમી સ્થાન મળેલું છે. ફિલ્મની પ્રિન્ટ આજે પણ આખી દુનિયાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ્સમાં સિલેબસ તરીકે ભણાવવામાં આવે છે. પણ આ બધો વૈશ્વિક ન્યાય અને અમરત્વ મેળવવા માટે ગુરુ દત્ત જીવતા નહોતા. કાગઝ કે ફૂલ આપણને શીખવે છે કે જો તમે સમયની સાથે ચાલશો તો પૈસા કમાશો, પણ જો તમે સમયની આગળ ચાલશો, તો સમય તમારો જીવ લઈને જ તમને અમર કરશે!
17 લાખનું દેવું અને સ્ટુડિયોની હરાજી: તે જમાનામાં કાગઝ કે ફૂલ 17 લાખ રૂપિયાના જંગી ખર્ચે બની હતી, જે અત્યારના લગભગ 150 કરોડ બરાબર થાય! ફિલ્મ એટલી ખરાબ રીતે પીટાઈ કે ગુરુ દત્તે પોતાના પ્રોડક્શન હાઉસના દેવા ચૂકવવા માટે પોતાનો સ્ટુડિયો અને કાર વેચવા પડ્યા હતા. આર્થિક બરબાદી અને માનસિક આઘાતનો આ એવો ઘા હતો જેમાંથી તેઓ ક્યારેય બહાર ન આવી શક્યા.
વહીદા રહેમાનનું સ્વેટર અને 100 ટેક: આ ફિલ્મ માટે ગુરુ દત્તનું ગાંડપણ કઈ હદે પહોંચેલું હતું તેનું આ ઉદાહરણ છે. એક દ્રશ્યમાં વહીદા રહેમાન સ્વેટર ગૂંથી રહ્યા છે અને ગુરુ દત્ત તેમની સામે જોઈ રહ્યા છે. ગુરુ દત્તને વહીદાના ચહેરા પર એક ચોક્કસ એક્સપ્રેશન (ભાવ) જોઈતું હતું. એ માત્ર 3 સેકન્ડનો શોર્ટ લેવા માટે ગુરુ દત્તે સળંગ 100 થી વધુ ટેક (રી-ટેક) લીધા હતા! વહીદા રહેમાન રડી પડ્યા હતા, પણ ગુરુ દત્તે સમાધાન નહોતું કર્યું.
મૃત્યુનો રિહર્સલ શોર્ટ: ફિલ્મનો ક્લાઈમેક્સ સૌથી ડરામણો છે. હીરો સુરેશ સિંહા એક ખાલી સ્ટુડિયોમાં ડિરેક્ટરની ખુરશી પર બેઠો બેઠો હાર્ટ એટેકથી મરી જાય છે. આ સીન શૂટ કરતી વખતે કેમેરામેન વી. કે. મૂર્તિ અચાનક રડવા લાગ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “ગુરુ દત્ત જે રીતે ખુરશીમાં મરેલા પડ્યા છે, તે જોઈને મને લાગ્યું કે આ ફિલ્મોનું શૂટિંગ નથી, પણ ભવિષ્યમાં થનારા તેમના પોતાના મોતનું રિહર્સલ છે!” અને ખરેખર 5 વર્ષ પછી ગુરુ દત્ત પોતાના બેડરૂમમાં બરાબર આવી જ અવસ્થામાં મૃત હાલતમાં મળ્યા હતા!
