વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ ટાળો, ફંગલ ઇન્ફેક્શન હવે સામાન્ય મલમથી નહીં મટે – CIDSCONમાં નિષ્ણાતોની ચેતવણી
ગાંધીનગરના ભવ્ય મહાત્મા મંદિર ખાતે આયોજિત “CIDSCON-૨૦૨૬” (૧૬મી એન્યુઅલ કોન્ફરન્સ ઓન ક્લિનિકલ ઈન્ફેક્શિયસ ડિસીઝીસ સોસાયટી કોન્ફરન્સ) નો શુભારંભ યુવા તબીબો માટેના વિશેષ વર્કશોપ્સથી થયો છે. આજના આધુનિક યુગમાં જ્યાં એક તરફ તબીબી વિજ્ઞાન નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અને ફંગલ ઇન્ફેક્શન જેવા ગંભીર પડકારો માનવ સ્વાસ્થ્ય સામે ઊભા થયા છે. આ પરિસ્થિતિમાં યુવા પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોક્ટરોને સચોટ નિદાન, આધુનિક સારવાર પદ્ધતિઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે પ્રશિક્ષિત કરવા માટે આ પૂર્વાર્ધ વર્કશોપ અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થયા છે.
સામાન્ય વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ ટાળવો અનિવાર્ય
કોન્ફરન્સના કો-ઓર્ગેનાઇઝિંગ ચેરમેન તથા સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ-કલોલના પ્રોફેસર અને વિભાગીય વડા ડૉ. હર્ષ તોષનીવાલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વાયરલ અથવા સીઝનલ ફીવર જેવા સામાન્ય કેસોમાં પણ બિનજરૂરી એન્ટીબાયોટિક્સ આપવાનું વલણ વધી રહ્યું છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે યુવા તબીબોને માર્ગદર્શન આપતા ભારપૂર્વક જણાવ્યું કે તબીબોએ દર્દીની સંપૂર્ણ ક્લિનિકલ હિસ્ટ્રી, શારીરિક તપાસ અને લેબોરેટરી રિપોર્ટ્સના આધારે જ સચોટ નિદાન કરવું જોઈએ. વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી જ ભવિષ્યની પેઢી માટે આ જીવનરક્ષક દવાઓની અસરકારકતા ટકાવી શકાશે.
ફંગલ ઇન્ફેક્શન અને એન્ટીફંગલ રેઝિસ્ટન્સનો વધતો ખતરો
માઇકોલોજીના પ્રતિષ્ઠિત નિષ્ણાત ડૉ. એમ. આર. શિવપ્રકાશે દેશમાં ઝડપથી વધી રહેલા ફંગલ ઇન્ફેક્શન અને એન્ટીફંગલ દવાઓ સામેના રેઝિસ્ટન્સ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે અગાઉ દાદર (ડર્માટોફાઇટોસિસ/રિંગવર્મ) જેવું સામાન્ય ઇન્ફેક્શન સરળ મલમથી મટી જતું હતું, પરંતુ હવે તે અત્યંત જીદ્દી બની ગયું છે અને લાંબી સારવાર છતાં આખા શરીરમાં ફેલાઈ જાય છે. આ સમસ્યા હવે માત્ર ગ્રામીણ કે ગરીબ વર્ગ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ શહેરો અને ઉચ્ચ સ્વચ્છતા ધરાવતા વર્ગમાં પણ જોવા મળે છે. તેમણે યુવા ડોક્ટરોને ફંગલ ઇન્ફેક્શનના સચોટ નિદાન માટે ફાર્માકોકીનેટિક્સ સમજવા અને અલગથી એન્ટીફંગલ સ્ટીવર્ડશિપ પ્રોગ્રામ અપનાવવા અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ અને ક્લિનિકલ શ્રેષ્ઠતાનો સંદેશ
મુંબઈના પ્રતિષ્ઠિત માઈક્રોબાયોલોજીસ્ટ ડૉ. અંજલી શેટ્ટીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સના માધ્યમથી ઇન્ફેક્શન કંટ્રોલ, માઇક્રોબાયોલોજી અને ચેપી રોગો સામે લડવાની જાગૃતિનો સંદેશ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. આજના સત્રોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવા તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગી તબીબ ડૉ. ચિંતન જાદવે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે આ પ્રકારની વર્કશોપ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને રોજિંદા ક્લિનિકલ પડકારોનો સામનો કરવા અને દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
આયોજિત મહત્વપૂર્ણ વર્કશોપ્સના મુખ્ય વિષયો
યુવા તબીબોની તાલીમ માટે નીચે મુજબના પાંચ વિશેષ વર્કશોપ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું:
ID ૩૬૦ (માસ્ટરિંગ ધ બેઝિક્સ): ચેપી રોગોના મૂળભૂત સિદ્ધાંતો અને વિગતવાર કેસ હિસ્ટ્રી લેવાની પદ્ધતિઓ.
માઇક્રોબાયોલોજી ૩૬૦: લેબોરેટરી નિદાન, દવાનો મર્યાદિત ઉપયોગ અને હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ.
ધ ઝીરો ડિફેન્સ ચેલેન્જ: ડાયાબિટીસ, કિડની ફેલ્યોર કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા નબળી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ) ધરાવતા દર્દીઓની જટિલ સારવાર.
AI એન્ડ ટેકનોલોજી ઇન ID પ્રેક્ટિસ: ચેપી રોગોના નિદાન અને સારવારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવશાળી ઉપયોગ.
ID ઇશ્યુઝ ઇન સર્જિકલ પ્રેક્ટિસ: સર્જરી દરમિયાન અને પછી દર્દીઓને ઇન્ફેક્શનથી બચાવવા માટેની સાવચેતીઓ.
“CIDSCON-૨૦૨૬” ના પૂર્વાર્ધરૂપે યોજાયેલા આ વર્કશોપ્સે યુવા તબીબોને ચેપી રોગોના જટિલ પ્રશ્નો સામે લડવા માટે સક્ષમ બનાવ્યા છે. એન્ટીબાયોટિક્સનો વિવેકપૂર્ણ ઉપયોગ, ફંગલ ઇન્ફેક્શનના બદલાતા સ્વરૂપો અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય ભવિષ્યમાં તબીબી ક્ષેત્રે દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
