ચાર મહિનામાં 22ને ફાંસીની સજા આપનાર જજ પાસેથી હત્યાના 100 કેસ લઈ લેવાયા
વકીલો અને પક્ષકારોમાં લગાતાર ફાંસીની સજાની આશંકાની ચર્ચા
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રવિ કુમાર દિવાકરના કોર્ટમાંથી આશરે 100 હત્યાના કેસ અન્ય જજને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ ધરાવતા આ કેસો હવે જિલ્લા અને સેશન્સ જજ વિરેન્દ્રકુમાર સિંહની અદાલતમાં ચલાવવામાં આવશે. સરકારી વકીલોના જણાવ્યા મુજબ વહીવટી નિર્ણય હેઠળ કેસોની ફાળવણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ પ્રમોદ ત્યાગીના જણાવ્યા મુજબ ગંભીર ગુનાઓના કેસોમાં અદાલત તરફથી કડક સજા, ખાસ કરીને મૃત્યુદંડ, ફટકારવામાં આવી શકે છે તેવી આશંકા વકીલો અને પક્ષકારોએ વ્યક્ત કરી હતી. છેલ્લા ચાર મહિનામાં જજ દિવાકરે 10 અલગ-અલગ હત્યાના કેસોમાં કુલ 22 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી.
તાજેતરના મહિનાઓમાં તેમણે જૂના હત્યા, અપહરણ બાદ હત્યા, ખંડણી માટેની હત્યા, લૂંટના પ્રયાસ દરમિયાન થયેલી હત્યા, ફરજ પરના હોમગાર્ડની હત્યા, ડબલ મર્ડર તેમજ ચૂંટણી વેરઝેર સંબંધિત હત્યાના અનેક કેસોમાં મૃત્યુદંડ ફટકાર્યો હતો. અનેક ચુકાદાઓમાં તેમણે કેસોને ‘રેરેસ્ટ ઓફ રેર’ શ્રેણીમાં ગણાવી કડક સજાનો આધાર આપ્યો હતો.
જજ દિવાકરના આ કડક અને ચર્ચાસ્પદ ચુકાદાઓને કારણે તેઓ છેલ્લા કેટલાક મહિનાથી સતત ચર્ચામાં રહ્યા છે. હવે તેમના કોર્ટમાંથી મોટી સંખ્યામાં હત્યાના કેસો હટાવાતા કાનૂની વર્તુળોમાં આ નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ છે.
કોણ છે જજ રવિ કુમાર દિવાકર?
લખનૌના રહેવાસી 46 વર્ષીય રવિ કુમાર દિવાકર બી.કોમ. અને એલએલએમ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. તેમણે 2009માં આઝમગઢમાં એડિશનલ સિવિલ જજ તરીકે ન્યાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2015માં સુલતાનપુરમાં સિવિલ જજ તરીકે બઢતી મળી અને બાદમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ તરીકે પણ સેવા આપી હતી. નવેમ્બર 2025થી તેઓ મુઝફ્ફરનગરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે કાર્યરત છે. 2022માં વારાણસીના જ્ઞાનવાપી સંકુલના વિડિયોગ્રાફી સર્વેનો આદેશ આપ્યા બાદ તેઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. કડક અને નિર્ભય ચુકાદાઓ માટે તેમની ઓળખ ઊભી થઈ છે.
