રથયાત્રાના ગજરાજો અને ટ્રક સરસપુર પહોંચ્યા, ભગવાન જગન્નાથના રથ અડધો કલાક મોડા
અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદની 149મી ભવ્ય જગન્નાથ રથયાત્રા ભારે ઉત્સાહ સાથે પ્રારંભ થઈ. જમાલપુર જગન્નાથ મંદિરેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળ્યા છે. યાત્રા ધીમી ગતિએ આગળ વધી રહી છે. ગજરાજો અને ટેબ્લો સરસપુર પહોંચી ગયા છે જ્યારે રથ હાલમાં AMC ઓફિસ તરફ આગળ વધી રહ્યા છે અને અડધો કલાક મોડા ચાલી રહ્યા છે. “જય રણછોડ માખણચોર”ના જયઘોષથી આખું શહેર ગુંજી રહ્યું છે.
યાત્રાનો વર્તમાન અપડેટ
યાત્રા જમાલપુરથી પ્રસ્થાન કરીને હવે ધીમે-ધીમે આગળ વધી રહી છે. સૌથી આગળ ચાલતા 18 સુશોભિત ગજરાજ અને 101 થીમ આધારિત ટ્રક સરસપુર પહોંચી ચૂક્યા છે. જ્યારે ભગવાનના ત્રણેય રથ જમાલપુર દરવાજો વટાવીને AMC ઓફિસ તરફ આગળ વધી રહ્યા છે. ભક્તોની ભીડ અને સુરક્ષા વ્યવસ્થાના કારણે રથ યાત્રા નિર્ધારિત સમય કરતા અડધો કલાક મોડી ચાલી રહી છે.
આકર્ષણનું કેન્દ્ર બન્યા અખાડા અને ટેબ્લો
આ વખતની રથયાત્રામાં 30 અખાડાના યુવાનોના સાહસિક કરતબો મુખ્ય આકર્ષણ બન્યા છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકોએ કરતબો રજૂ કરીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા.
101 ટ્રક પર રંગબેરંગી ફૂલો અને થીમ આધારિત સજાવટ કરવામાં આવી છે. એક ટ્રક પર ગોરીલા ડાન્સ અને ભોળાનાથ બનેલા નાનકડા બાળકે લોકોનું ધ્યાન ખેંચ્યું. તો બીજી તરફ ‘હોર્મુઝ પાર’ નામના ટેબ્લો પર ‘પ્રભુ અમે કરીએ રથ તૈયાર, પેટ્રોલ-ડીઝલ-ગેસના જહાજો લાવો હોર્મુઝ પાર…’ જેવા સ્લોગન સાથે વૈશ્વિક શાંતિની પ્રાર્થના કરવામાં આવી.
આ પણ વાંચો: ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ
ગરમીથી બચાવવા AMCનું ‘કૂલિંગ ઓપરેશન‘
લાખો ભક્તોને કાળઝાળ ગરમીથી રાહત આપવા AMC દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ. સમગ્ર 16 KMના રૂટ પર ફાયર વિભાગ દ્વારા સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. સાથે જ વાતાવરણ ઠંડું રાખવા મિસ્ટ વાન પણ સતત કાર્યરત રાખવામાં આવી હતી. જેના કારણે ભક્તોને મોટી રાહત મળી.
સુરક્ષામાં ટેક્નોલોજીનો ઉપયોગ
આ વર્ષે સુરક્ષા માટે અનેક નવી વ્યવસ્થા કરાઈ છે:
Voice AI સિસ્ટમ: ક્રાઈમ બ્રાન્ચે 4500 પોલીસકર્મીઓ માટે ‘જય જગન્નાથ’ કહીને સ્વાગત કરતી Voice AI સિસ્ટમ બનાવી. જેમાં ડ્યુટી, રહેવા-જમવાની માહિતી ફોન પર જ મળી જશે.
ડ્રોન અને GPS: તમામ ટ્રક અને અખાડાનું 100 હાઈટેક ડ્રોન અને GPSથી રિયલ-ટાઈમ મોનિટરિંગ થઈ રહ્યું છે.
કડક ચકાસણી: દરેક ડ્રાઈવર અને ટ્રકનું આધાર એપ દ્વારા વેરિફિકેશન અને મેડિકલ ચેકઅપ ફરજિયાત કરાયું. દરેક ટ્રકમાં 1 પોલીસ ડ્રાઈવર પણ સાથે છે.
અન્ય વિશેષ બાબતો
ગજરાજનું શણગાર: 21 વર્ષીય કલાકાર ઝરણા પંચાલે ઇકો-ફ્રેન્ડલી રંગોથી ગજરાજો પર જગન્નાથ, સુભદ્રા અને બલરામના ચિત્રો દોર્યા.
મામેરું: સરસપુરના તેજસ દવે પરિવારને આ વર્ષે ભગવાનનું મામેરું કરવાનો લાભ મળ્યો. વૃંદાવનના કાપડ અને માણેકચોકના અલંકારોથી ભગવાનને શણગારવામાં આવ્યા.
રથ સુરક્ષા: દરેક રથ સાથે 1 ASP, 1 DCP, 2 DySP, 2 PI અને પોલીસ ફોર્સ તહેનાત છે. રથ પર કેમેરાવાન અને ડ્રોન સર્વેલન્સ પણ છે.
યાત્રાનો રૂટ:
જગન્નાથ મંદિર → AMC ઓફિસ → ઢાળની પોળ → રાયપુર → ખાડિયા → કાલુપુર → સરસપુર → પ્રેમ દરવાજા → દિલ્હી ચકલા → શાહપુર → ઘી કાંટા → માણેકચોક → જગન્નાથ મંદિર
પરંપરા, શ્રદ્ધા અને આધુનિક સુવિધાનો સમન્વય ધરાવતી 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. ભક્તિની સાથે ટેક્નોલોજી, સુરક્ષા અને સુવિધાનું અનોખું મિશ્રણ આ વર્ષે યાત્રાને વધુ સ્મરણીય બનાવી રહ્યું છે.
