ગિરનાર પર્વત પરથી પરિવારની નજર સામે જ બાળકને સિંહ ઉઠાવી ગયો: જંગલમાંથી માત્ર અવશેષો મળ્યા
જૂનાગઢના આસ્થાના કેન્દ્ર ગિરનાર પર્વત પરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે દર્શન માટે આવેલા મહેમદાવાદના એક પરિવાર પર સિંહે હુમલો કર્યો. ગિરનારની મુખ્ય સીડીના માત્ર 50 પગથિયાં ચડ્યા હતા ત્યારે જ અંધારામાંથી આવેલા સિંહે 12 વર્ષના બાળક મયૂરસિંહને મોંમાં દબાવીને જંગલમાં ખેંચી ગયો. કલાકોની શોધખોળ બાદ જંગલમાંથી બાળકના કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા છે. ઘટના બાદ વન વિભાગે મુખ્ય સીડી બંધ કરી દીધી છે અને સિંહને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
50 પગથિયાં પર જ સિંહે કર્યો હુમલો
આ ઘટના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના પરિવાર સાથે બની. પરિવાર વહેલી સવારે ગિરનાર દર્શન માટે આવ્યો હતો. બાળકના કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, “અમે મુખ્ય ગેટથી અંદર માત્ર 50 પગથિયાં ઉપર જ પહોંચ્યા હતા. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી મારા 12 વર્ષના ભત્રીજા મયૂરસિંહ પર તરાપ મારી. સિંહ તેને મારા હાથમાંથી જ ખેંચીને સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો.”
જંગલમાંથી મળ્યા માત્ર અવશેષો
બાળકની ચીસ સાંભળીને પરિવાર અને અન્ય યાત્રિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક વન વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી. જંગલમાં ભારે શોધખોળ કરતા મયૂરસિંહના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા.
આ પણ વાંચો: અમદાવાદમાં તમામ 13 પોર્ટલ બીમનું લોન્ચિંગ સફળ: 1,640 ટનનો બીમ માત્ર 3 કલાકમાં ગોઠવાયો
તંત્ર એક્શનમાં, મુખ્ય સીડી બંધ
આ કરુણ ઘટના બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે:
1. સુરક્ષા માટે પગલાં: યાત્રિકોની સુરક્ષા માટે ગિરનારની મુખ્ય સીડી પર અવરજવર તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે.
2. વૈકલ્પિક રસ્તો: શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડીનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
3. સિંહની શોધ: વન વિભાગની અનેક ટીમો બનાવીને જંગલમાં સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હુમલાખોર સિંહને પકડવા માટે વિવિધ સ્થળોએ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.
પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ
મૃતક બાળકના પરિવારે વહીવટી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમની મુખ્ય માંગ છે કે ગિરનારની સીડીઓ પર પૂરતી લાઈટની વ્યવસ્થા નથી. અંધારાના કારણે વન્યજીવ બેઠો હોય તો પણ દેખાતો નથી. પરિવારે માંગ કરી છે કે તાત્કાલિક સીડી પર લાઈટ લગાવવામાં આવે અને અમુક અંતરે ફોરેસ્ટના કર્મચારીઓ તહેનાત કરવામાં આવે.
ગિરનાર એશિયાટિક સિંહનું ઘર ગણાય છે. અગાઉ પણ અહીં વન્યજીવ અને માણસના સંઘર્ષના કિસ્સા સામે આવ્યા છે. આ ઘટના બાદ વન વિભાગે યાત્રિકોને સવાર વહેલા અને સાંજ મોડા એકલા પ્રવાસ ન કરવાની અપીલ કરી છે.
