સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો, માછીમારોને દરિયો ખેડવા પર બ્રેક
ચોમાસાના પ્રારંભે જ ગુજરાત પર મેઘમહેર થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આ આકાશી રાહતથી ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ 64 ટકા જેટલો છલકાયો છે. બીજી તરફ ભારે પવન અને વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
ડેમોમાં પાણીની ધરખમ આવક
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગના આંકડા મુજબ સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયો જીવંત થયા છે. ગુજરાતના મુખ્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 36 ટકા જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે. સૌથી મોટા સમાચાર સરદાર સરોવર ડેમના છે જ્યાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા ડેમ 63.94 ટકા ભરાઈ ગયો છે. જોકે ઉપરવાસમાં સતત વરસાદથી 2 ડેમને હાઈ એલર્ટ અને 7 ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: 16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ
1955 ગામો અંધારપટમાંથી ઉજાસમાં
વાવાઝોડા જેવા પવન અને ભારે વરસાદના કારણે રાજ્યના 1,955 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જનજીવન પ્રભાવિત થતા ઉર્જા વિભાગ અને સ્થાનિક તંત્રે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. રાત દિવસની મહેનત બાદ 1,951 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. ભૌગોલિક મુશ્કેલી અને પાણી ભરાવાના કારણે હજુ માત્ર 4 ગામોમાં વીજળી ચાલુ કરવાની બાકી છે, જ્યાં ટીમો કામે લાગી છે.
માછીમારો માટે 6 જુલાઈ સુધી ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ઊંચા મોજાની આગાહીને પગલે રાજ્ય સરકારે માછીમારોને 6 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે. તંત્ર દ્વારા પૂર અને આપત્તિ વ્યવસ્થાપન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પણ તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી અને સંપૂર્ણ સજ્જ છે.
