ભાવનગર-અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવામાનમાં પલટો: હળવાથી મધ્યમ ઝાપટાં
અલનીનોની અસર વચ્ચે આ વર્ષે ચોમાસુ નબળું રહે તેવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે રહી રહીને ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં આજે સમીસાંજે ભાવનગર, અમરેલી જિલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો જેમાં જેસર, મહુવા, તળાજા અને સાવરકુંડલા તાલુકામાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા હતા. બીજીબાજુ હવામાન વિભાગે આગામી ૨ જુલાઈથી રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ થવાના કારણે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નૈઋત્ય ચોમાસુ મહારાષ્ટ્રથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી વચ્ચે સ્થિર થઈ ગયું છે ત્યારે હવે રહી રહીને ચોમાસુ ફરી સક્રિય બનવાની આશા જાગી છે.
ભાવનગરના મહુવા, જેસર અને તળાજાના ગામડામાં તેમજ અમરેલીના સાવરકુંડલામાં સમીસાંજે કાળાડિબાંગ વાદળો છવાયા બાદ હળવાથી મધ્યમ ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જેમાં જેસર પંથકના દેપણ ગામે જોરદાર ઝાપટું વરસી જતાં રાજમાર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત બગદાણા, મોણપર, ખારી સહિતના ગામડામાં પણ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે.
બીજીબાજુ હવામાન વિભાગે ચોમાસુ ફરી સક્રિય થવાની આગાહી કરી છે. આગામી ૨ જુલાઈથી રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની આગાહી કરી છે તેમજ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપી છે.
