હોસ્ટેલની બેદરકારીથી દમ તોડતી 10 વર્ષની આયુષી: 15 દિવસ બીમારી છુપાવી
ભવિષ્યના સપના સાથે એપ્રિલમાં દાખલ કરેલી 10 વર્ષની દીકરી આયુષીનો મૃતદેહ જૂનમાં આવ્યો. રાજકોટના જસદણ ખાતેની ‘આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર’ હોસ્ટેલની બેદરકારીએ માતા-પિતાની ગોદ સુની કરી દીધી. ભાવનગરની આયુષી 15 દિવસથી તાવ-અછબડાથી પીડાતી હતી, પણ હોસ્ટેલ સંચાલકોએ પરિવારને જાણ કરવાને બદલે બીમારી છુપાવી. 24 જૂને હાલત ગંભીર થતાં ઉતાવળે રાજકોટ સિવિલ દોડાવાઈ, પણ પિતા પહોંચે તે પહેલા ડોક્ટરોએ મોત જાહેર કરી દીધું. “કડક નિયમો”ના નામે 2 મહિનાથી માતા-પિતાને ફોન પર વાત પણ ન કરવા દેવાઈ. આજે પરિવાર ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે.
ત્યારે સમગ્ર મામલે આલ્ફા ટ્રેનિંગ સેન્ટર અને હોસ્ટેલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે. ભાવનગરની 9 વર્ષની આયુષીનું એપ્રિલ મહિનામાં અહીં એડમિશન કરાવવામાં આવ્યું હતું. પરિવારના આક્ષેપ મુજબ બાળકી બીમાર હોવા છતાં તેની જાણ માતા-પિતાને કરવામાં આવી નહોતી. અચાનક તબિયત વધુ લથડતા પરિવારને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચવા જણાવાયું હતું, પરંતુ ત્યાં પહોંચતા આયુષીનું મોત થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાએ ટ્રેનિંગ સેન્ટર અને હોસ્ટેલના સંચાલન સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હવે આ મામલે શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર મંડાઈ છે.
આ પણ વાંચો: સોનાનો સપાટો, ચાંદીનો કડાકો: 3 દિવસમાં સોનું 7500 અને ચાંદી 11,300 તૂટી
એડમિશનથી મોત સુધીની દાસ્તાન
ભાવનગરના વતની આયુષીના પિતાએ એપ્રિલ 2026માં સૈનિક અને નવોદય સ્કૂલની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે દીકરીને આલ્ફા હોસ્ટેલમાં દાખલ કરી હતી. ધોરણ-5માં ભણતી આયુષીને શિસ્ત અને કડક નિયમોના નામે છેલ્લા 2 મહિનાથી માતા-પિતા સાથે ફોન પર વાત પણ કરવા દેવામાં આવતી ન હતી. આ જ નિયમોની આડમાં હોસ્ટેલે 15 દિવસ સુધી બાળકીની બીમારી પરિવારથી છુપાવી રાખી.
બીમારી છુપાવી, સારવાર વગર મોત
પરિવારના આક્ષેપ મુજબ આયુષી છેલ્લા 2 અઠવાડિયાથી તાવ અને અછબડાથી પીડાતી હતી. છતાં સંચાલકોએ ન તો યોગ્ય ડોક્ટર પાસે સારવાર કરાવી કે ન પરિવારને જાણ કરી. 24 જૂન 2026ની બપોરે જ્યારે તબિયત એકદમ લથડી ગઈ ત્યારે જ ઉતાવળે પહેલા જસદણની હોસ્પિટલ અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. પિતા સિવિલ પહોંચે તે પહેલા જ ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કરી દીધી.
પરિવારનો આક્રોશ અને પોલીસ તપાસ
પિતાને માત્ર એક જ ફોન આવ્યો – “તમારી દીકરીની તબિયત ખરાબ છે, સિવિલ હોસ્પિટલ પહોંચો”. હોસ્પિટલ પહોંચીને દીકરીનો મૃતદેહ જોઈ પરિવાર તૂટી પડ્યો. પરિવારે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે હોસ્ટેલ પ્રશાસનની ગુનાહિત બેદરકારી અને બીમારી છુપાવવાના કારણે જ આયુષીનો જીવ ગયો. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની તેમની જીદ છે અને સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
હાલ પોસ્ટમોર્ટમ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાએ જસદણની તમામ હોસ્ટેલો અને કોચિંગ સેન્ટરોના સંચાલન પર મોટા સવાલ ઉભા કર્યા છે. બાળકોને ભણાવવા મોકલીએ છીએ કે જીવ જોખમમાં મૂકવા? હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
