વડોદરા-હાલોલ હાઇવે પર બસ-ટ્રકની જોરદાર ટક્કર: 7ના મોત, અનેક ઘાયલ
વડોદરા-હાલોલ રોડ પર કોટંબી સ્ટેડિયમ નજીક પરોઢિયે ભયાનક અકસ્માત સર્જાયો. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી લકઝરી બસ રોડ પર ઉભેલા ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા 7 મુસાફરોના દર્દનાક મોત નીપજ્યા છે. જ્યારે 26થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 5ની હાલત ગંભીર છે. અકસ્માત બાદ ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ બસના પતરા કાપીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની ભારે જહેમત કરી. ઘટનાને પગલે 4-5 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
આજે પરોઢિયે લગભગ 4 વાગ્યાના અરસામાં બાંસવાડાથી સુરત જતી લકઝરી બસ વડોદરા-હાલોલ રોડ પર કોટંબી સ્ટેડિયમ પાસે પહોંચી હતી. ત્યાં રોડ પર ઉભેલા એક ટ્રકને બસ ચાલક જોઈ શક્યો નહીં અને બસ પૂરપાટ ઝડપે ટ્રકની પાછળ ઘૂસી ગઈ.
બસના પતરા કાપીને રેસ્ક્યૂ
ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ખોખરો થઈ ગયો અને અનેક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા. અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને વાહનચાલકો દોડી આવ્યા. વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ અને ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી. JCBની મદથી બંને વાહનોને અલગ કરવામાં આવ્યા, જ્યારે બીજી ટીમોએ ગેસ કટરથી બસના પતરા કાપીને ઘાયલોને બહાર કાઢ્યા
આ પણ વાંચો: જામનગર મનપાને બોમ્બથી ઉડાડવાની ધમકી: 1000+ લોકોની તાત્કાલિક હટાવટ, પરિસ્થિતિ નિયંત્રણમા
NDRFની ટીમ પણ પહોંચી
બચાવ કામગીરી માટે NDRF જરોદના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે અત્યંત સાવચેતીપૂર્વક બસમાં ફસાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. કેટલાક મૃતદેહો બસના કાટમાળમાં દટાઈ ગયા હતા, જેને કાપીને બહાર કાઢવામાં આવ્યા.
7ના મોત, 26 ઘાયલ, ટ્રાફિક ખોરવાયો
આ દુર્ઘટનામાં કુલ 7 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. 26 ઘાયલોને વડોદરા સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પાંચ ઘાયલોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા તંત્રએ વ્યક્ત કરી છે. અકસ્માતને કારણે વડોદરા-હાલોલ રોડ પર 4-5 કિમી સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.
પ્રાથમિક તપાસ: ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી
પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે રોડ પર ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બસની ઝડપ, ચાલકની બેદરકારી અને ટ્રકના પાર્કિંગ સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરીને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. તંત્ર દ્વારા મૃતકોના પરિવારોને સહાય અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
