રાજકોટના પિઝા શોખીનો ચેતજો! PAPA LOUIE’S માંથી ઝડપાયો અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો
પિઝા, પાસ્તા, નુડલ્સ ખાવાના શોખીન રાજકોટવાસીઓ માટે ચેતવણીરૂપ સમાચાર. રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી લોકપ્રિય PAPA LOUIE’S PIZZA પાર્લરમાં આરોગ્ય વિભાગના દરોડામાં એવું કંઈક મળ્યું કે અધિકારીઓ પણ ચોંકી ગયા. પિઝા ગાર્નિશ કરવા માટે વપરાતા ગ્રીન ઓલિવમાં ફૂગ, અમેરિકન કોર્ન સહિતની સામગ્રી અખાદ્ય અને અનહાઈજેનિક હાલતમાં મળી આવી. વળી નુડલ્સ-પાસ્તામાં વપરાતી અનેક વસ્તુઓની એક્સપાયરી ડેટ પણ પૂરી થઈ ગઈ હતી. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે આવી વસ્તુઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગથી લઈને આંતરડાના ગંભીર રોગ થઈ શકે છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે રામકૃષ્ણનગર મેઈન રોડ સ્થિત PAPA LOUIE’S PIZZA પાર્લર પર અચાનક દરોડો પાડ્યો. તપાસ દરમિયાન જે હાલત સામે આવી તે જોઈને ટીમ દંગ રહી ગઈ.
આ પણ વાંચો: રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન
અખાદ્ય અને ફૂગવાળો જથ્થો ઝડપાયો
તપાસમાં પિઝા ગાર્નિશ માટે વપરાતા ગ્રીન ઓલિવ ફૂગવાળા મળ્યા. અમેરિકન કોર્ન, અન્ય ટોપિંગ્સ અને શાકભાજી પણ સડેલી-અખાદ્ય હાલતમાં પડ્યા હતા. સ્ટોરેજની હાલત UNHYGENIC હતી. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની સામગ્રીથી બનતો ખોરાક માણસના આરોગ્ય માટે સીધો જોખમકારક છે.
એક્સપાયરી ડેટ વાળી સામગ્રીનો ઉપયોગ
વધુ ચોંકાવનારી વાત એ સામે આવી કે પિઝા, પાસ્તા અને નુડલ્સ બનાવવામાં ઉપયોગ થતી અનેક સામગ્રીની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. તેમ છતાં તેનો ઉપયોગ ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકમાં કરવામાં આવતો હોવાનું ખુલ્યું.
આરોગ્ય માટે જોખમ
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે ફૂગવાળું કે એક્સપાયરી થયેલું ભોજન ખાવાથી પેટના રોગ, આંતરડાના ચેપ, ફૂડ પોઈઝનિંગ, ઝાડા-ઊલટી અને ગંભીર કિસ્સામાં લાંબાગાળાની બીમારીઓ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ વધુ જોખમી બને.
આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થો જપ્ત કરીને નષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પાર્લર સામે FSSAIના નિયમો મુજબ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે બહારનું ભોજન લેતી વખતે સ્વચ્છતા અને સામગ્રીની તાજગી ચોક્કસ તપાસે. રાજકોટમાં ફૂડ સેફ્ટીને લઈને આ બીજી ઘટના નથી, તેથી શોખની સાથે સાવધાની પણ જરૂરી છે.
