ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણીમાંથી સીરાજ અચાનક `આઉટ’
ઈજા નથી છતાં બહાર કરાયો: પ્રસિદ્ધ કૃષ્ણાને અપાઈ તક
આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ સામે રમાનારી ટી-૨૦ શ્રેણી પહેલાં બીસીસીઆઈએ મોહમ્મદ સીરાજને બન્ને ટી-૨૦ શ્રેણી માટેની ટીમમાંથી બહાર કર્યો છે. પસંદગીકારોએ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કર્યો છે. આ નિર્ણયથી ક્રિકેટરસિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
બીસીસીઆઈએ જણાવ્યું કે સિરાજને કોઈ પ્રકારની ઈજા નથી પરંતુ આગામી લાંબી અને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સીઝનને ધ્યાનમાં રાખી તેને આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે થયેલી લાંબી ચર્ચા બાદ સીરાજને તેના વર્કલોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ આરામની સલાહ અપાઈ છે. આ નિર્ણય સાવધાનીના ભાગરૂપે લેવાયો છે જેથી સીરાજ આગામી શ્રેણી પહેલાં સંપૂર્ણ રીતે તરોતાજા થઈ શકે.
આ પણ વાંચો: અફઘાન સામે વન-ડે શ્રેણી રમવા રોહિત-હાર્દિક ફિટ
સિરાજની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન મળ્યું છે. પ્રસિદ્ધ એકસ્ટ્રા બાઉન્સ અને ગતિ માટે ઓળખાય છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલરો માટે મદદગાર પીચ પર કૃષ્ણા કારગત નિવડી શકે છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ રાત્રે ૧૧ નહીં ૧૦ વાગ્યાથી શરૂ થશે
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત વિરુદ્ધ રમાનારી તમામ પાંચ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચને એક કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે દસ વાગ્યાથી શરૂ થશે જેથી વધુમાં વધુ લોકો મેચને ટીવી પર જોઈ શકે. અગાઉ આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થવાની હતી પરંતુ પ્રસારણકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ સમય એક કલાક વહેલો કરાયો છે.
