દીપડાઓ શેરડીના ખેતરમાં અને હાથીઓ રેલવે ટ્રેક પર કેમ રહેવા લાગ્યા છે?
જંગલની બહાર નવું `કોંક્રીટનું જંગલ’
આપણને એવો ભ્રમ છે કે જંગલી પ્રાણીઓ માત્ર નેશનલ પાર્ક કે અભયારણ્યની હદમાં જ રહે છે, પણ વાસ્તવિકતા એ છે કે ભારતના હજારો દીપડા અને હાથીઓ હવે જંગલ છોડીને આપણા ખેતરો અને હાઇવે પર કાયમી વસવાટ કરવા લાગ્યા છે! વન્યજીવોના આ ખતરનાક `એડપ્ટેશન’ (અનુકૂલન) અને મનુષ્યોના પ્રાણી સાથેના વધતા સંઘર્ષ પાછળ આંધળો વિકાસ કેવી રીતે જવાબદાર છે?
ભારતમાં જ્યારે પણ `વાઇલ્ડલાઇફ’ (વન્યજીવ) ની વાત આવે છે, ત્યારે આપણા મગજમાં ગીર, રણથંભોર, જિમ કોર્બેટ કે કાઝીરંગા નેશનલ પાર્કના દ્રશ્યો ઉપસી આવે છે. કાગળ પર ભારતનો ૫% ભૌગોલિક વિસ્તાર આવા `પ્રોટેક્ટેડ એરિયા’ (સંરક્ષિત વિસ્તારો) તરીકે નોંધાયેલો છે. આપણને લાગે છે કે પ્રાણીઓ આ જંગલોની અંદર સુરક્ષિત છે અને આપણે બહારના શહેરોમાં સુરક્ષિત છીએ.
પરંતુ, છેલ્લા એક દાયકાથી ગ્રાઉન્ડ રિયાલિટી ભયાનક રીતે બદલાઈ ગઈ છે. પ્રાણીઓ હવે જંગલની સીમાઓ તોડીને માનવ વસાહતોમાં ઘૂસી રહ્યા છે – ભૂલથી નહીં, પણ કાયમ માટે રહેવા! આજે આપણે એ સમજવું છે કે શા માટે ભારતના વન્યજીવો પોતાનું મૂળ રહેઠાણ છોડીને આપણા આંગણે આવીને ઊભા છે.
૧. શેરડીના ખેતરો: દીપડાઓનું નવું `જંગલ‘
મહારાષ્ટ્રના જુન્નર, કરાડ અને પુણે પટ્ટાનું ઉદાહરણ આખી પરિસ્થિતિ સમજવા માટે પુરતું છે. અગાઉ દીપડાઓ પશ્ચિમ ઘાટના ગાઢ જંગલોમાં રહેતા. પણ ૧૯૭૦ ના દાયકા પછી ત્યાં ડેમ બન્યા અને ખેડૂતોએ મોટા પાયે `શેરડી’ વાવવાનું શરૂ કર્યું.
દીપડાઓને જંગલ કરતા આ શેરડીના ખેતરો વધુ માફક આવી ગયા! શેરડીનો પાક એકદમ ગાઢ અને ઊંચો હોય છે, જે માદા દીપડાને બચ્ચાને જન્મ આપવા માટે જંગલ જેવી જ સુરક્ષા આપે છે. વળી, ખેતરોની આસપાસ જંગલી હરણને બદલે રખડતા કૂતરા, બકરા અને વાછરડાંના રૂપમાં `રેડીમેડ’ શિકાર આસાનીથી મળી જાય છે. તાજેતરના એક સર્વે મુજબ, જુન્નર જેવા બિન-સંરક્ષિત વિસ્તારોમાં દર ૧૦૦ ચોરસ કિલોમીટરે ૬ થી ૭ દીપડા વસવાટ કરી રહ્યા છે, જે જંગલ કરતા પણ વધુ ગીચતા દર્શાવે છે! પરિણામે, ખેડૂતો જ્યારે ખેતરમાં કામ કરવા જાય છે, ત્યારે સામસામે ટકરાવ થાય છે અને જીવલેણ હુમલાઓ વધ્યા છે.
૨. હાઇ-કેલરી પાકની લાલચ અને તૂટતા `એલિફન્ટ કોરિડોર‘
હાથીઓ જેવા મહાકાય પ્રાણીઓને રોજનો સેંકડો કિલો ખોરાક જોઈએ. તેઓ વર્ષોથી એક જંગલમાંથી બીજા જંગલમાં જવા માટે પોતાના ચોક્કસ `કોરિડોર’ નો ઉપયોગ કરે છે. પણ આપણા વિકાસે આ રસ્તાઓની વચ્ચે હાઇવે, રેલવે ટે્રક અને રિસોર્ટ્સ ઊભા કરી દીધા છે.
બીજી તરફ, ખેડૂતો હવે જંગલની સીમાઓ પર કેળાં, શેરડી અને ડાંગર જેવા પાકો લે છે. હાથીઓ પણ હવે સ્માર્ટ થઈ ગયા છે. આખો દિવસ જંગલમાં ઘાસ અને પાંદડાં ખાવા કરતા, રાત્રે ખેતરમાં ઘૂસીને કેળાં કે શેરડી ખાવામાં તેમને વધુ `કેલરી’ અને પોષણ મળે છે. જ્યારે હાથી આ ખેતરોમાં કે એક જંગલમાંથી બીજા જંગલમાં જવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ ટે્રનની અડફેટે ચડે છે. પર્યાવરણ મંત્રાલયના જ આંકડા કહે છે કે ૨૦૦૯ થી ૨૦૨૧ વચ્ચે માત્ર રેલવે ટે્રક પર કપાઈ જવાથી ભારતભરમાં ૧૮૬ હાથીઓના મોત થયા છે! (જેમાં સૌથી વધુ આસામ અને બંગાળમાં છે).
૩. જંગલોની `કેરીંગ કેપેસિટી‘ પૂરી થઈ ગઈ છે!
સરકારને એ વાતનું ગર્વ છે કે દેશમાં વાઘ, સિહ અને દીપડાની સંખ્યા વધી રહી છે. આ સારી વાત છે, પણ જંગલનો વિસ્તાર તો વધતો નથી ને?
દરેક જંગલની એક `કેરીંગ કેપેસિટી’ હોય છે. જ્યારે તાડોબા કે કોર્બેટ જેવા જંગલોમાં વાઘની સંખ્યા વધે છે, ત્યારે તાકાતવર વાઘ જંગલના કેન્દ્રમાં કબજો જમાવે છે અને યુવાન/નબળા વાઘને પોતાનો નવો વિસ્તાર શોધવા જંગલની બહાર ધકેલી દે છે. આ બહાર ધકેલાયેલા વાઘ અને દીપડાઓ જ્યારે નવી જગ્યા શોધવા નીકળે છે, ત્યારે તેમને રસ્તામાં જંગલને બદલે ૬ લેનનો એક્સપ્રેસ-વે, કેનાલ કે ફેક્ટરીઓ જ મળે છે.
માત્ર પાંજરા મૂકવાથી ઉકેલ નહીં આવે!
જ્યારે પ્રાણીઓ ગામમાં ઘૂસે છે, ત્યારે આપણું પહેલું રિએક્શન એ હોય છે કે “ફોરેસ્ટ વાળાને બોલાવીને પાંજરું મુકાવો!” પણ એક દીપડાને પકડશો, તો બીજો તેની જગ્યા લેવા આવી જ જશે. કારણ કે આપણે તેમના ઘર તોડીને આપણા ઘર બનાવ્યા છે.
અસલી જરૂરિયાત હવે `કો-એક્ઝિસ્ટન્સ’ (સહઅસ્તિત્વ) ની છે. જંગલની આસપાસ પાકના પ્રકારો બદલવા પડશે, હાઇવે બનાવતી વખતે પ્રાણીઓને નીચેથી પસાર થવા માટે `એનિમલ અંડરપાસ’ ફરજિયાત બનાવવા પડશે. વન્યજીવો આપણા વાતાવરણ સાથે અનુકૂલન સાધી રહ્યા છે, પણ જો આપણે સમય રહેતા તેમની સાથે અનુકૂલન સાધતા નહીં શીખીએ, તો આ મનુષ્યોનો પ્રાણી સાથેનો સંઘર્ષ આવનારા વર્ષોમાં દેશની સૌથી મોટી ઇકોલોજીકલ ક્રાઈસિસ બની જશે!
