નિકાહના ૨૦ દિવસ પહેલાં જ સગીરાએ બાળકને જન્મ આપ્યો: ફરિયાદ થયા બાદ આરોપી જેલમાં
જામનગર શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નિકાહને માત્ર ૨૦ દિવસ બાકી હોવા છતાં સગીરાએ ગર્ભવતી બની એક બાળકને જન્મ આપતાં પરિવારજનો દંગ રહી ગયા હતા. સમગ્ર મામલે મંગેતર દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવતાં સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને તેને પકડી જેલ હવાલે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રાજકોટ રોડ વિસ્તારમાં રહેતી એક સગીરાની સગાઈ નજીકના વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવક સાથે થઈ હતી. પરિવારના સભ્યો કામસર બહાર રહેતા હોવાથી સગીરા ઘણી વખત ઘરે એકલી રહેતી હતી. આ દરમિયાન મંગેતર વારંવાર ઘરે આવી તેણી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. અવારનવાર થતા દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. ગત મહિને પેટમાં દુખાવો ઉપડતાં તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તપાસ દરમિયાન ગર્ભાવસ્થા બહાર આવી હતી. પ્રસૂતિ દરમિયાન તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
આ ઘટના અંગે જાણ થતાં પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. બાદમાં સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી મંગેતર સામે દુષ્કર્મ તથા પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો છે. આ ઘટનાએ વિસ્તારમાં તથા સમાજમાં ભારે ચકચાર મચાવી છે. હાલ સગીરા અને તેનો નવજાત પુત્ર સ્વસ્થ હોવાનું જાણવા મળે છે.
