રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી?
રાજકોટ શહેરમાં ગત 16 માર્ચના રોજ દલિત યુવક ભાવેશ વાણવીની કરપીણ હત્યાના મામલે શહેરભરમાં રોષ અને તણાવનો માહોલ છે. આ ઘટના બાદ દલિત સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. કલાકો સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર અને પોલીસ સામેના આક્રોશ બાદ અંતે મોડી રાત્રે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. જોકે આ ઘટનાના 15 દિવસ વીતવા છતાં મુખ્ય આરોપી હજુ પણ પોલીસના સકંજાથી બહાર છે.
ઘટના બાદ રોષની આગ જોઈને પોલીસે આ બનાવમાં ગણતરીની કલાકોમાં જ રવિ મેરાભાઈ જોગરાણા (33), સાગર મેરાભાઈ જોગરાણા (26) અને ગોપાલ મેરાભાઈ જોગરાણા (22) ઝડપી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો. જોકે બનવાને 15 દિવસથી વધુ સમય વીતી ગયા હોવા છતાં આ હત્યા કેસનો મુખ્ય આરોપી હમીર જોગરાણા હજુ પોલીસ પકડથી દૂર છે અને પોલીસને હાથ તાળી આપી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસા અગાઉ આર્મ્સ એક્ટના ગુનામાં પણ હમીરે મહિનાઓ સુધી પોલીસને દોડતી કરી હતી. આરોપી પોલીસની તપાસ પદ્ધતિ અને નેટવર્કથી સારી રીતે પરિચિત હોવાથી વારંવાર લોકેશન બદલી રહ્યો હોવાની ચર્ચા છે.ગુનાને અંજામ આપ્યા બાદ તેણે પોતાના પરિવાર કે મિત્રો સાથે તમામ પ્રકારના સંપર્ક તોડી નાખ્યા છે. શહેરમાં એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે, આધુનિક ટેકનોલોજી અને વિશાળ પોલીસ ફોર્સ હોવા છતાં હત્યા જેવા ગંભીર ગુનામાં 15 દિવસ સુધી આરોપી પકડાય નહીં ? શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી ગઈ છે કે પછી પોલીસનું ઇન્ટેલિજન્સ નેટવર્ક સાવ નિષ્ક્રિય થઈ ગયું છે?
