ધો. 1થી 11ના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર: 13 વર્ષ બાદ 32 પુસ્તકો બદલાશે,ભાષા,ગણિત-વિજ્ઞાન સાથે AI-પ્રોગ્રામિંગને પણ સ્થાન અપાયું
ધોરણ 1 થી 11 ના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે. આશરે 13 વરસ બાદ આ ટેકસબુક્સમાં બદલાવ આવશે.32 બુક્સમાં સંપૂર્ણ ફેરફાર થયો છે.રાજ્યની પ્રાથમિકથી લઇને માધ્યમિક સુધીના વિવિધ માધ્યમોમાં વર્ષ 2026-27માં જુદા જુદા 32 પાઠ્યપુસ્તકોમાં ફેરબદલ કરી દેવામાં આવ્યો છે. અમલમાં લાવવામાં આવેલા નવા પુસ્તકોમાં ભાષા,ગણિત અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના પુસ્તકો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પ્રોગ્રામ લેગ્વેંજના વિષયોને પણ સામેલ કરવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે ધો.1થી 11ના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. વર્તમાન પરિસ્થિતિને અનુકુળ હોય તેવા વિષયો દાખલ કરીને જૂના વિષયો રદ કરવામાં આવતાં હોય છે. વર્ષ 2026-27માં જુદા જુદા ધોરણોના અંદાજે 32 પુસ્તકોમાં મોટાપાયે ફેરબદલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે,ધો.9 અને 11માં વર્ષ 2013–14માં નવા પુસ્તકો દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ આજ પુસ્તકો ભણાવવામાં આવી રહ્યા છે. હવે પછી અંદાજે 13 વર્ષ પછી અત્યાધુનિક પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા વિષય પર પહેલી વખત દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:આ વખતે ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે ‘હનુમાન જન્મોત્સવ’: ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ, આ રીતે પૂજા કરવાથી બજરંગ બલી થશે પ્રસન્ન
પ્રાથમિક વિભાગમાં ધો.2માં ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષામાં વાચનમાળા નામનું પુસ્તક અને ધો.3માં ગણિત મેળો અને આપણી અદ્દભૂત દૂનિયા (પર્યાવરણ) જેવા પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. આજ રીતે ધો.6માં ગણિત પ્રકાશ અને વિજ્ઞાનમાં કુતુહલ નામના પુસ્તકો તૈયાર કરી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ કે, આ પુસ્તકો માત્ર ગુજરાતી માધ્યમમાં નહી પરંતુ અંગ્રેજી માધ્યમમાં પણ સમાન પધ્ધતિથી 32 જેટલા પુસ્તકો લાગુ કરવામાં આવશે.
