આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા
રાજકોટ મહાપાલિકામાં કોર્પોરેટરોની 11 માર્ચથી મુદ્દત પૂર્ણ થતાં અરજદારોને મરણની નોંધ કરાવવા માટે જરૂરી દાખલો મેળવવામાં ભારે દોડધામ કરવી પડી રહી હતી. આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત મેડિકલ ઓફિસર અથવા માન્ય ડૉક્ટરનો દાખલો માન્ય હોવા છતાં, કેન્દ્ર બંધ હોય ત્યારે લોકો મૃતદેહને ઘરે જ રાખવા મજબૂર બનતા અને હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. ફરિયાદોમાં વધારો થતા તંત્રએ હવે વધુ એક વ્યવસ્થા અમલમાં મૂકી છે.
હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ માન્ય ગણાશે. નવી વ્યવસ્થા મુજબ, જો 60 વર્ષથી વધુ વયની વ્યક્તિનું કુદરતી રીતે મૃત્યુ થાય તો પરિવારજનોને આરોગ્ય કેન્દ્ર ખુલે તેની રાહ જોવાની જરૂર રહેશે નહીં. તેઓ પોતાના વોર્ડના પૂર્વ કોર્પોરેટર પાસેથી મરણનોંધનો દાખલો મેળવી શકશે. આ દાખલો ફાયર વિભાગમાં જમા કરાવતાં નોંધ થઈ જશે અને અંતિમવિધિ કરી શકાશે.
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે 2021ની ટર્મમાં ચૂંટાયેલા કોર્પોરેટરનો જ દાખલો માન્ય ગણાશે. આ વ્યવસ્થા નવા કોર્પોરેટરની નિમણૂક થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
સાથે જ, જો સવારે 9 થી સાંજે 6 દરમિયાન 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિનું નિધન થાય તો આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર પાસેથી પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે. આ સમય સિવાય નજીકના પ્રેક્ટિસ કરતા ડૉક્ટર પાસેથી મેળવેલો દાખલો પણ માન્ય રહેશે.
