9 એપ્રિલે યુદ્ધનો આવશે અંત? ઇઝરાયેલી મીડિયામાં પાક.ની મધ્યસ્થીના અહેવાલ, વ્હાઇટ હાઉસે ‘પુષ્ટિ’ આપવાનું ટાળ્યું
ઇરાન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર સપ્તાહ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે બંને દેશો વચ્ચે પાકિસ્તાનમાં સંભવિત ચર્ચા થવાના અહેવાલોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જોકે, વ્હાઈટ હાઉસે આ અહેવાલોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી અને આ પ્રકારની અટકળોથી દૂર રહેવાની સલાહ આપી છે. દરમિયાનમાં ઇઝરાયેલના સૌથી લોકપ્રિય અખબાર યેદોથ દ્વારા એવા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે અમેરિકાએ યુદ્ધનો અંત કરવા માટે 9 એપ્રિલની તારીખ નક્કી કરી રાખી છે અને આ વ્યૂહરચના મુજબ એમની ચર્ચા થવાની છે. જો કે ઇઝરાયેલના અધિકારીઓએ એમ કહ્યું છે કે ઇરાન ટ્રમ્પની વાત અને શરતો માનીને યુદ્ધ બંધ કરવા માટે સહમત થાય તેવી શક્યતા ઓછી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેરોલાઇન લેવિટને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ, જેમાં ઉપપ્રમુખ જે.ડી. વાન્સનો સમાવેશ થાય છે, ઇસ્લામાબાદમાં ઈરાની પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે? તેના જવાબમાં લેવિટે જણાવ્યું હતું કે આ પ્રકારની ચર્ચાઓ અત્યંત સંવેદનશીલ હોય છે અને અમેરિકા મીડિયા મારફતે વાટાઘાટો કરતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે પરિસ્થિતિ સતત બદલાતી રહેતી હોવાથી કોઈપણ બેઠક અંગે સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી તેને અંતિમ માનવી યોગ્ય નથી.
આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું કે ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્ત કરવા માટે ઇસ્લામાબાદમાં ચર્ચા યોજાઈ શકે છે. રોઇટર્સે પાકિસ્તાની અધિકારીના હવાલાથી અને અન્ય સ્રોતોના આધારે આ સંભાવના દર્શાવી હતી, જ્યારે ટાઈમ્સ ઓફ ઇઝરાયેલે ઇઝરાયેલી અધિકારીના હવાલાથી દાવો કર્યો હતો કે આ બેઠક આ અઠવાડિયામાં યોજાઈ શકે છે.
અહેવાલો મુજબ અમેરિકાની તરફથી જે.ડી. વાન્સ, વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર જેરેડ કુશ્નર ભાગ લઈ શકે છે, જ્યારે ઈરાન તરફથી સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર કાલિબાફ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી. આ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે વાતચીત કરી હોવાનું જણાવ્યું છે અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે સહયોગ આપવાની ખાતરી આપી છે.
કોઇ ચર્ચા નથી થઇ: ઈરાન
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સમજૂતી માટે ઉત્સુક છે અને તેમના પ્રતિનિધિઓએ ઈરાનના નેતૃત્વ સાથે ચર્ચા પણ કરી છે. જોકે, ઈરાનના સંસદ અધ્યક્ષ કાલિબાફે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને તેને ખોટી માહિતી ગણાવી છે. તેમણે કહ્યું કે આ પ્રકારના ફેક ન્યૂઝ વૈશ્વિક તેલ બજારને પ્રભાવિત કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. હોર્મુઝની જળસંધિ પર વધેલા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને કિમતો અંગે પણ ચિતા વધી રહી છે, કારણ કે વિશ્વના લગભગ 20 ટકા કાચા તેલનું પરિવહન આ માર્ગ પરથી થાય છે.
