શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી
યુધ્ધની અસર હવે આપણા રસોડા સુધી પહોંચી રહી છે અને અમેરિકા, ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ બાધિત થતા ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાડી દેશોમાંથી આવતા ઓઇલ અને ગેસના સપ્લાયમાં મોટા પાયે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે દેશમાં એલપીજી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કટોકટીનો સામનો કરવા માટે સરકારી ઓઇલ કંપનીઓ હવે ઘરોમાં વપરાતા 14.2 કિલોના સિલિન્ડરને બદલે માત્ર 10 કિલો ગેસ ભરીને આપવા પર વિચારણા કરી રહી છે.
આ વ્યૂહનીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ગેસના જથ્થાને વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવાનો છે, જેથી ગેસની અછતને મેનેજ કરી શકાય. જો આ યોજના અમલમાં આવશે, તો સિલિન્ડર પર નવા સ્ટીકર લગાવાશે અને વજનના પ્રમાણમાં તેની કિંમતો પણ ઘટાડવામાં આવશે.
ભારત પોતાની જરૂરિયાતનો અંદાજે 60% એલપીજી આયાત કરે છે, જેમાંથી 90% પુરવઠો ખાડી દેશોમાંથી આવે છે. હાલની સ્થિતિ એટલી ચિંતાજનક છે કે ગયા અઠવાડિયે માત્ર બે જહાજો દ્વારા 92,700 ટન ગેસ આવ્યો હતો, જે ભારતની માત્ર એક જ દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેટલો જ છે.
આ પણ વાંચો: કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઈરાનને મળેલી ચેતવણી બાદ સ્થિતિ વધુ વણસી છે અને ભારતના છ જેટલા એલપીજી ટેન્કરો અત્યારે પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. ભારતમાં રોજના 93,500 ટન ગેસની વપરાશ છે, જેમાંથી 86% હિસ્સો ઘરેલુ ગ્રાહકો દ્વારા વાપરવામાં આવે છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં જ કુલ વપરાશમાં 17%નો ઘટાડો નોંધાયો છે.
