‘ભારત જ કરાવી શકે છે યુદ્ધનો અંત…’: RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, સંઘર્ષ પાછળ સ્વાર્થ-પ્રભુત્વ કારણભૂત
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે પ્રત્યાઘાત આપતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સુપ્રિમો મોહન ભાગવતે કહ્યું હતું કે, દુનિયા વિનાશ તરફ જઈ રહી છે. આ બધા યુદ્ધ પાછળ સ્વાર્થ અને પ્રભુત્વની ઈચ્છા કારણભૂત છે. જો કે કાયમી શાંતિ ફક્ત એકતા, શિસ્ત અને ધર્મપાલનથી જ આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક માત્ર ભારતમાં આ યુદ્ધ રોકવાની શક્તિ છે.
સંઘ પ્રમુખ ભાગવતે નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતોઆ પછી એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, વિશ્વભરમાંથી ઉઠતા અવાજો સૂચવે છે કે ફક્ત ભારત પાસે જ આ લડાઈઓનો અંત લાવવાની ક્ષમતા છે, કારણ કે આ દેશની પ્રકૃતિમાં સહજ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મ નો પાયો નાખીને ડગમગતા વિશ્વને સંતુલન પુનઃસ્થાપિત કરવાની જવાબદારી ભારતની છે.
તેમણે નોંધ્યું હતું કે 2,000 વર્ષોથી, વિશ્વએ સંઘર્ષોને ઉકેલવાના પ્રયાસમાં વિવિધ વિચારધારાઓનો પ્રયોગ કર્યો છે, છતાં તેને કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.
તેમણે ઉમેર્યું, “…યોગી અરવિંદોએ 150 વર્ષ પહેલાં અવલોકન કર્યું હતું કે સનાતન ધર્મનું પુનરુત્થાન દૈવી ઇચ્છા છે; આ જ કારણસર ભારતનો ઉદય થઈ રહ્યો છે. વિશ્વ હાલમાં ડગમગી રહ્યું છે. આપણે આ જોઈ શકીએ છીએ. વિસ્તૃત રીતે સમજાવવાની જરૂર નથી કારણ કે આખી પરિસ્થિતિ આપણી સામે છે. યુદ્ધો થઈ રહ્યા છે; આ યુદ્ધો શા માટે થઈ રહ્યા છે, તે ફક્ત સ્વાર્થ માટે છે અને બીજું કંઈ નથી…”
