મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 751 કરોડનો વિકાસ કરવા તૈયારી: મહાપાલિકાએ CMનો સમય માંગ્યો,જાણો કયા કયા કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓની મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. બીજી બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય તે પૂર્ણ થયા બાદ આગામી ચૂંટણીની જાહેરાત કરવામાં આવનાર છે ત્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ દરેક શહેરોમાં વિકાસ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટની વાત કરવામાં આવે તો અહીં મુખ્યમંત્રીના હસ્તે 751 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાની તૈયારી મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું કે ગત 7 માર્ચે રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે 362.60 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 751 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે તૈયારી ચાલી રહી છે. આ માટે મુખ્યમંત્રી કાર્યાલયને તમામ વિગત પણ મોકલી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં CMO દ્વારા મુખ્યમંત્રીની તારીખ મળી જાય એટલે કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરાશે. મોટાભાગે શનિવારે મુખ્યમંત્રી રાજકોટમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જો શનિવારે તેમનો કાર્યક્રમ નહીં ગોઠવાય તો પછી સોમવારે તેઓ રાજકોટ આવી શકે છે.
બીજી બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય મુખ્યમંત્રીની હાજરી ફરજિયાત હોવાથી તેઓ રજાના દિવસે રાજકોટ આવી શકે છે. શનિવારે રમઝાન ઈદની રજા હોવાથી તેઓ રાજકોટ આવે તેવી શક્યતા છે. બીજી બાજુ સત્ર 25 માર્ચે પૂર્ણ થયા બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની હોય આચારસંહિતા લાગુ પડી ગયા બાદ કામ હાથ ઉપર લઈ શકાય તેમ ન હોવાથી સત્ર પૂર્ણ થાય તે પહેલાં જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પૂર્ણ કરાવવા માટે ભાર આપવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રીની જાહેરસભાનું પણ થઈ રહેલું આયોજન
મુખ્યમંત્રીનો રાજકોટમાં કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોય શહેર ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત દરમિયાન જાહેરસભાનું આયોજન પણ કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ વિભાગમાં પણ ચર્ચા થઈ હતી સાથે સાથે શહેર ભાજપ દ્વારા પણ કાર્યક્રમની રૂપરેખા ઘડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
કયા કયા કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
- પોપટપરા-રેલનગરમાં નિર્માણાધીન 1000થી વધુ આવાસનું લોકાર્પણ
- ન્યારી ડેમ પાસે 150 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત
- જ્યુબિલિ શાક માર્કેટ અને લક્ષ્મીનગર શાક માર્કેટની કાયાપલટ કરવાનું ખાતમુહૂર્ત
- વોર્ડ નં. 4માં સ્પોર્ટસ કોમ્પલેક્સનું ખાતમુહૂર્ત
- કનકનગર ફાયર સ્ટેશનના રિનોવેશનનું ખાતમુહૂર્ત
- વોર્ડ નં. 15માં નવા ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત
- 190 કરોડના વિવિધ 6 કામનું લોકાર્પણ
- કુલ 567 કરોડના ખર્ચે વિવિધ 40 કામનું ખાતમુહૂર્ત
