ધરોઈના જળાશયમાં 191 પ્રજાતિના 30 હજારથી વધુ પક્ષીઓનું સમૃદ્ધ વૈવિધ્ય મળ્યું: પાંચમી પક્ષી ગણતરી સંપન્ન, પ્રકૃતિ પ્રેમીઓનો જમાવડો
સાબરકાંઠાના ધરોઈ જળાશય ખાતે વન વિભાગ, આદમ નેચર રીટ્રીટ, પ્રણીધિ ટ્રસ્ટ અને લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પાંચમી પક્ષી ગણતરી અને અંદાજ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસની પક્ષી અંદાજ ગણતરી દરમિયાન 191 પ્રજાતિના 30,431 કુલ પક્ષીઓ જોવા મળ્યા. જેમાંથી 22,011 પાણીમાં રહેનારા જોવા મળ્યા. તેમાંથી 70 પ્રજાતિના 8,299 કુલ ઋતુ પ્રવાસી પક્ષીઓ એમના સંવવન પીછાના રૂપે જોવા મળ્યા ને ભારતીય મૂળના સ્થાનિક અને આંતરરાજ્યના કુલ 121 પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા.

7 અને 8 માર્ચ 2026ના રોજ યોજાયેલા આ બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી 92 જેટલા પક્ષી નિરીક્ષકોએ ભાગ લીધો હતો. આ ગણતરીમાં 10 વર્ષના બાળકથી લઈને 67 વર્ષના વયોવૃદ્ધ પક્ષીપ્રેમીઓ, વૈજ્ઞાનિકો, વન્યજીવ ફોટોગ્રાફર્સ અને સરકારી અધિકારીઓ સહભાગી થયા હતા.

કાર્યક્રમની શરૂઆત વટપલ્લી જૈન તીર્થ ખાતેથી થઈ હતી. ગણતરી પ્રક્રિયાને વધુ સચોટ અને વૈજ્ઞાનિક બનાવવા માટે સમગ્ર ધરોઈ જળાશયને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. દરેક ઝોનમાં નિષ્ણાતો, ફોટોગ્રાફર્સ અને શિખાઉ ગણતરીકારોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આ ગણતરીના આધારે પક્ષીઓની વર્તણૂક, ઋતુ પરિવર્તન, આબોહવા અને પક્ષીઓના સંવર્ધન સમયના પીંછાના રંગોનો ગહન અભ્યાસ કરવામાં આવશે.

આ સમગ્ર આયોજનનું સંચાલન સાબરકાંઠા જિલ્લાના માનદ વન્યજીવ સંરક્ષક શ્રી મયુરભાઈ રાઠોડની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું, જેઓ સતત પાંચમી વાર આ જવાબદારી નિભાવી રહ્યા છે. વન વિભાગના નિવૃત્ત અગ્ર મુખ્ય વન સંરક્ષક અને પક્ષી નિષ્ણાત શ્રી ઉદય વોરા સાહેબે વૈજ્ઞાનિક ઢબે આ ગણતરીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ અને વટપલ્લી જૈન તીર્થ દ્વારા તમામ નિરીક્ષકો માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમના સમાપન પ્રસંગે ગુજરાત રાજ્ય પરિવહન નિગમના નિયામક શ્રી મહેન્દ્રભાઈ ડામોરે હાજર રહી પક્ષી નિરીક્ષકોનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પક્ષીઓ પર્યાવરણ અને લોકજીવનમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. વનવાસી ખેડૂતો આજે પણ પક્ષીઓની બોલી અને તેમના આગમનના આધારે ખેતીમાં વાવેતરનો નિર્ણય લેતા હોય છે. અંતમાં શ્રી વૈભવ મહેતાએ આભારવિધિ કરી પ્રકૃતિ પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
પક્ષી ગણતરીના મહત્વના અંશ
• કુલ જોવા મળેલા પક્ષીઓ: 30,431
• કુલ પ્રજાતિઓ: 191
• જળચર પક્ષીઓ: 22,011
• ઋતુ પ્રવાસી (Migratory) પક્ષીઓ: 8,299 (70 પ્રજાતિઓ)
• સ્થાનિક અને આંતરરાજ્ય પક્ષીઓ: 121 પ્રજાતિઓ
ગણતરીની વૈજ્ઞાનિક પદ્ધતિ અને વિશેષતાઓ
• ઝોન વ્યવસ્થા: ધરોઈ જળાશયના વિશાળ વિસ્તારને 20 અલગ-અલગ વિભાગોમાં વહેંચાયો હતો
• ટીમ રચના: દરેક ઝોનમાં 5 થી 6 નિષ્ણાતો અને તાલીમાર્થીઓની ટીમ રાખવામાં આવી હતી
• સમયગાળો: પ્રથમ તબક્કાની ગણતરી સાંજે અને બીજા તબક્કાની ગણતરી વહેલી સવારે કરવામાં આવી હતી
• અભ્યાસના વિષયો: પક્ષીઓના પીંછાના રંગો, પ્રવાસ દરમિયાનની સ્થિતિ અને આબોહવા પરિવર્તનની અસરનો અભ્યાસ કરાયો
