ગિરનારના અંબાજી મંદિર પરિસરમાં માસ-મદિરાની મહેફિલ: વાયરલ વીડિયોમાં ખુલી પોલ, પુજારી સહિત 11 લોકો સસ્પેન્ડ
જૂનાગઢમાં ગરવા ગિરનાર પર આવેલા પૌરાણિક અને અસંખ્ય ભક્તગણના પવિત્ર શ્રદ્ધાસ્થાન અંબાજી મંદિર પરિસર ભંડારામાં માસ મદિરાની મહેફિલના વાયરલ વીડિયો ભારે ઉહાપોહ ફેલાવ્યો છે. સંતો, શ્રધાળુઓમાં ભારોભાર રોષ ફેલાયો છે. ઘટનાના પગલે મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને પ્રાથમિક તબ્બકે પગારદાર પુજારીઓ, કર્મચારીઓ મળી 11 વ્યક્તિઓને મંદિરમાંથી હાંકી કઢાયા છે.
એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મંદિરમાં પરિસર ભોજનાલય નજીક જ ત્રણ ઈસમોએ પાર્ટી કરી હોવાના અને કબાબ સાથે શરાબનું સેવન કરતા દેખાતા હતા. આ ઘટનાથી ભક્તોમાં આક્રોશ ફેલાયો છે અને લોકોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મંદિરનો વહીવટ હાલ જીલ્લા કલેકટર તંત્ર હસ્તક હોવાથી સિટીમામલતદાર એ.કે. બારૈયા તથા ટીમ સહિતએ તપાસ કરી પ્રાથમિક તપાસમાં જ મંદિરમાં પુજારીઓ કર્મચારીઓની બેદરકારી ખુલી હતી.
વહીવટી તંત્ર દ્વારા પુજારીઓ અને કર્મચારીઓ કિશોરસિંહ એસ. ચૌહાણ તેનો પુત્ર ભાર્ગવ, તુષારગીરી એમ. ગોસ્વામી, શૈલેષગીરી એમ. ગોસ્વામી, ભરતગીરી ધનગીરી ગોસ્વામી, દેવગીરી જીમ્મીગીરી ગોસ્વામી, કાન્તીગીરી એ. અપારનાથી, પ્રિન્સ કે. ઠાકર, વિજયભાઈ એ. ઠાકર તથા રસોયો સમીયા રામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને મંદિરમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલની સુચના આધારે હાલ તંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. મંદિરનું સંચાલન સરકાર હસ્તગત છે અને મંદિરના વહીવટદાર તરીકે સિટી મામલતદાર છે. તેમના દ્વારા હંગામી ધોરણે નવા 2 પૂજારીને નિમણુક અપાઈ છે. આ ઘટનાથી ભક્તોમાં આક્રોશ ફેલાયો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તંત્ર દ્વારા વધુ તપાસ સાથે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ ફરિયાદ નોંધાવાય તેવી તજવીજ હાથ ધરી છે.
મંદિરનું શાસ્ત્રોક વિધિથી શુદ્ધીકરણ કરાયું
મંદિરમાં દારૂ અને નોનવેજ પાર્ટીને લઈને ભારે દેકારો થઇ પડ્યો છે. જુનાગઢ સહિતના ધર્મસ્થાનોના સંતો, પુજારીઓ કે ધર્મપ્રેમીઓમાં ભારે નારાજગી પ્રસરી ઉઠી છે. આવી ગેર પ્રવૃતિને લઈને મંદિર પરિસર અપિવત્ર બન્યાનો રોષ પણ ફેલાયો છે, જેને લઈને મંદિર પરિસરમાં ગંગાજળ છંટકાવ તેમજ શાસ્ત્રોક વિધિ કરીને શુદ્ધીકરણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
