જંગલેશ્વરમાં 1 સપ્તાહ સુધી કાટમાળ જ ખસેડાશે ત્યારપછી નીકળશે રોડનું ‘મુહૂર્ત’: બાપુનગરથી નાડોદાનગર સુધીનો સવા 2 કિમી.નો રસ્તો કરાશે 50 ફૂટ પહોળો
જંગલેશ્વરમાં મહાપાલિકાએ બે દિવસ સુધી મેગા ડિમોલિશન હાથ ધરી 1489થી વધુ ગેરકાયદે મકાન, દુકાન, ઓરડીઓ સહિતનું દબાણ તોડી પાડ્યા બાદ હવે જેના માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું તે બાપુનગરથી નાડોદાનગર સુધીનો 1.25 કિલોમીટરનો 15 મીટર (45 ફૂટ)નો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. સોમવારે પ્રથમ દિવસે 1119 દબાણ તોડ્યા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુરૂવારથી સોમવાર વચ્ચે રોડ પહોળો કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયા બાદ દસ દિવસમાં જ કામ પૂર્ણ કરવામાં આવશે.
જો કે બુધવારે મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી કે હજુ એક સપ્તાહ સુધી તોડી પડાયેલા બાંધકામનો કાટમાળ દૂર કરાયા બાદ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મ્યુ.કમિશનરે જણાવ્યું કે એક સાથે લાખો કિલો કાટમાળ દૂર કરવાનો હોવાથી આ કામ કદાચ આવતાં સપ્તાહ સુધી ચાલી શકે છે. તમામ કાટમાળ દૂર થયા બાદ જ રસ્તો પહોળો કરવાનું કામ શરૂ કરવામાં આવશે.
એકંદરે આઈએએસ કક્ષાના બે અધિકારીઓ દ્વારા એક જ કામ પાછળ અલગ-અલગ સમય આપવામાં આવતાં અનેક તર્ક-વિતર્ક પણ થવા લાગ્યા હતા. આટલુ ઓછું હોય તેમ તંત્ર દ્વારા ડિમોલિશન થનાર મિલકતોની ગણતરીમાં પણ ફેર જોવા મળ્યો હતો. અગાઉ એવું જાહેર કરાયું હતું કે 1489 મિલકતો તોડી પડાશે પરંતુ વાસ્તવિક રીતે 1509 મિલકત તોડવામાં આવી હતી. એકંદરે હવે કાટમાળ ઉપાડવામાં બને એટલી ઝડપ રાખવામાં આવે તો જ જે હેતુ માટે આ કાર્યવાહી કરાઈ છે તે રોડ પહોળો કરવાનું કામ થઈ શકશે અન્યથા તેમાં પણ સમય જ વીત્યે રાખશે.
