વિચાર-તપાસ કરવા જેવું ખરું: સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં ‘કડદો’ તો નહીં નીકળતો હોય ને? ભલા માણસ કોઈનું ઘર તોડવું આપણને પણ કેમ ગમે, વાંચો કાનાફૂસી
શુક્રવારે મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં અલગ-અલગ બગીચા, શાળાઓ, લાઈબ્રેરીઓ, ત્રણેય ઝોનલ કચેરી સહિતની મિલ્કતોના રક્ષણ માટે 334 પોઈન્ટ ઉપર 724 સિક્યોરિટી ગાર્ડસને તૈનાત રાખવા માટે કુલ 20 એજન્સીને 2 વર્ષમાં 39,84,94,441 રૂપિયા ચૂકવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. મહાપાલિકાની મિલકતોનાં રક્ષણ માટે સિક્યોરિટી ગાર્ડસ મુકવા જરૂરી છે તે વાતનો ઈનકાર કોઈ કરી ન શકે પરંતુ જે પ્રકારે ખર્ચની રકમ છે તે થોડી શંકાસ્પદ હોવાની ‘કાનાફૂસી’ મહાપાલિકા કચેરીમાં જ સાંભળવા મળી હતી. વળી, સાંભળવા તો એવું પણ મળ્યું હતું કે શાસકોએ જ આ ખર્ચ વધુ હોવાનું માની 70 દિવસ સુધી દરખાસ્ત ઉપર અભ્યાસ કર્યો પરંતુ કોઈ જ પ્રકારનો ફેરફાર કર્યા વગર જ દરખાસ્તને મંજૂરી પણ આપી દીધી હતી. ખેર, આટલો લાંબો અભ્યાસ શા માટે કરવો પડયો તે તો શાસકો જ જાણતાં હશે પરંતુ અત્રે મહત્ત્વની બાબત એ છે કે તંત્ર દ્વારા 334 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે ખરેખર 724 સિક્યોરિટી ગાર્ડસ નિયમ પ્રમાણે તૈનાત રખાશે? જો હા તો પછી ખરેખર સિક્યોરિટી ગાર્ડસ ફરજ પર હાજર છે કે કેમ તેનું ધ્યાન કોણ રાખશે? વળી, સિક્યોરિટી ગાર્ડસને નક્કી કરાયેલો પગાર જ ચૂકવવામાં આવશે? જાણકારો તો એવું જણાવી રહ્યા છે કે કોઈ ગાર્ડસને 22,000 પગાર ચૂકવવાનું નક્કી કરાયા બાદ મૂળ રકમ ઓછી ચૂકવવાનો ‘ખેલ’ પણ થઈ શકે છે! સૌથી મહત્ત્વની વાત એ છે કે 20માંથી 17 એજન્સીએ 0.01% વધુ સર્વિસ ચાર્જ ભર્યો છે જ્યારે 3 એજન્સી એવી છે જેણે 2%થી વધુ સર્વિસ ચાર્જ ભર્યો હોવા છતાં તેને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, આવું શા માટે? શું આ કોન્ટ્રાકટમાંથી કડદો તો નીકળતો નહીં હોય ને? એકંદરે આ બધી ‘રમત’ માત્ર કાગળ ઉપર જ રમાતી હોય તેવું પણ બની રહ્યાની ‘કાનાફૂસી’ હાલ સાંભળવા મળી રહી છે.
આર્ટ ગેલેરીમાં આર્ટની જગ્યાએ આંતરવસ્ત્રોનું વેચાણ! તંત્ર માટે માત્ર ‘કમાણી’ મહત્ત્વની!
રેસકોર્સમાં આવેલી ડૉ. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીનું મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરી ટનાટન બનાવી દેવામાં આવી હતી. જો કે જ્યારથી નવી ગેલેરી બની છે ત્યારથી કચવાટ શમવાનું નામ લઈ રહ્યો નથી. પહેલાં તો તંત્ર દ્વારા કલાનું પ્રદર્શન કરવા માટે જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે કલાકારોને કોઈપણ હિસાબે પરવડી રહ્યું નથી. આ પછી કલાકારોને પોતાની કલાકૃતિની ગોઠવણ કરવા માટે બુકિંગના થોડા કલાકો પહેલાં ગેલેરીની સોંપણી કરવામાં આવતી ન હોય તેને લઈને પણ રોષ પ્રવર્તી ગયો છે. હવે એક સમાહ પહેલાં આર્ટ ગેલેરીમાં કલાકૃતિના પ્રદર્શનને બદલે આંતરવસ્ત્રોનું વેચાણ શરૂ થયાનું જોઈ કલાકારોનો આત્મા રીતસરનો કકળ્યો હતો. આ અંગે તંત્રવાહકોનો કાન પણ આમળવામાં આવ્યો હતો પરંતુ તેમના દ્વારા નિયમપોથી બતાવી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે બા-કાયદા આર્ટ ગેલેરીને આ પ્રકારના વેચાણ માટે ભાડે આપી શકાય છે. કોમર્શિયલ દરે ગેલેરી ભાડે આપ્યા બાદ અંદર શું વેચાઈ રહ્યું છે તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી ન હોવાનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. યક્ષપ્રશ્ન એ છે કે જો આર્ટ ગેલેરીને આર્ટના પ્રદર્શન માટે જ તૈયાર કરવામાં આવી હોય તો પછી આ પ્રકારના વેચાણ માટે ભાડે આપીને તંત્ર શું કમાણી કરી લેશે? જો કોમર્શિયલ દરે વિવિધ વસ્તુના વેચાણ માટે ગેલેરી ભાડે આપવી જ હોય તો પછી ‘આર્ટ ગેલેરી’ નામ બદલીને ‘કોમર્શિયલ હોલ’ નામકરણ પણ કરી દેવું જોઈએ જેથી કમ સે કમ કલાકારોનો આત્મા તો ન કકળે.
ભલામાણસ, કોઈનું ઘર તોડવું આપણને પણ કેમ ગમે?
રાજકોટમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ મુદ્દો જંગલેશ્વરમાં થઈ રહેલા ડિમોલિશનનો છે. ચા-પાનની દુકાન હોય કે પછી બીજી કોઈ નાની-મોટી દુકાન, લોકોના મોઢે ડિમોલિશનની જ વાતો સાંભળવા મળી રહી છે. તોડફોડ કરવાની જવાબદારી જેમના હાથમાં છે તે મહાપાલિકાના અધિકારીઓ વચ્ચે પણ આ મુદ્દે ‘કાનાફૂસી’ ચાલી રહી હતી. એક અધિકારીએ બીજા અધિકારીને પૂછ્યું કે આપણે તો સોમવારે વ્હેલી સવારથી જ લેફ્ટ-રાઈટ કરવાની છે! તો બીજાએ જવાબ આપ્યો કે હવે આપણા ‘નસીબ’માં તોડભાંગ કરવાનું લખાયેલું છે તો એ પણ કરી બતાવશું, પરંતુ દિલ ઉપર હાથ મૂકી કહું તો કોઈનું ઘર તોડવું જરાય ગમતું નથી. વર્ષોથી કોઈએ પાઈ પાઈ એકઠી કરીને નાનું મકાન બનાવ્યું હોય અને તેના ઉપર એક ઝાટકે જેસીબી ફેરવી દઈએ તો જેનું મકાન તૂટે તેની આંતરડી તો દુભાશે જ, સાથે આપણને પણ બદદુઆ મળશે. પરંતુ આપણે રહ્યા ચીઠ્ઠીના ચાકર… સાહેબ કહે એમ કરવું જ પડશે, નહિતર આપણે જ ક્યાંક બીજે ઘર શોધવા જવું પડશે.
RMCમાં 3માંથી 1 ઝોનલ ટાઉન પ્લાનિંગ ઓફિસર ‘ધોળા હાથી’ સાબિત થયા!!
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાના તે સમયના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાની ધરપકડ થતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આજદિન સુધી તંત્રને કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર મળ્યા નથી અને ઈન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નવતર અભિગમ અપનાવી ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરીને 3 ઝોન માટે અલગ-અલગ ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક કરી હતી. સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન એમ 3 ઝોનલ ટાઉન પ્લાનિંગ ઓફિસર કાર્યરત થયા હતા. પરંતુ 3 પૈકી 1 ઝોનના ટીપીઓ ‘ધોળા હાથી’ સાબિત થયા હોવાની ચર્ચા ખુદ અધિકારીઓમાં થઈ રહી છે. જવાબદારીભર્યું કામ હોવા છતાં તેઓ ‘ટપાલી’ની જેમ કામ કરતાં હોવાથી તેમના હોવા કે ના હોવાનો ખાસ ફેર ન પડી રહ્યો હોવાનો આક્ષેપ છે. અન્ય 2 ટીપીઓ ટકોરાબદ્ધ કામગીરી કરતાં હોવાથી તંત્રને તેનો ફાયદો મળી રહ્યો છે. હવે આ ‘ધોળા હાથી’ સાબિત થયેલા ટીપીઓનો રસ્તો કેમ કરવો તેની ગોઠવણ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લ્યો કરો વાતઃ મહિને 1 લાખની નોકરી મળ્યાના થોડા જ સમયમાં એક લીગલ ઇન્ટર્ને રાજીનામું આપી દીધું!
મહાપાલિકા વતી કેસ લડવા અને કોર્ટમાં દલીલ કરવા માટે લીગલ શાખા કાર્યરત છે. ગત શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન દ્વારા લીગલ શાખાની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વચ્ચે થોડા સમય પહેલાં લીગલ શાખામાંથી રાજીનામું પડ્યાનું સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા થોડા સમય પહેલાં લીગલ શાખામાં દર મહિને 1 લાખના પગાર લેખે 3 લીગલ ઈન્ટર્નની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રમાણે 3 ઈન્ટર્નને મહિને કુલ 3 લાખ રૂપિયાનું ચૂકવણું થતું હતું. પગારની દૃષ્ટિએ નોકરી સારી ગણાતી હોવા છતાં 3 પૈકી 1 ઈન્ટર્ને થોડા જ સમયમાં રાજીનામું આપી દીધું. એવું શું બન્યું હશે કે ઈન્ટર્ને રાજીનામું આપવું પડ્યું? શું તેમને બીજી સારી તક મળી કે પછી આંતરિક ખટપટથી કંટાળી મેદાન છોડ્યું? હાલ આ સવાલોના જવાબ કોઈ પાસે સ્પષ્ટ નથી.
