જંગલેશ્વરમાં ડિમોલિશનને ધ્યાનમાં રાખી 4 લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ: શહેરમાં ડ્રોન ઉડાડવાની મનાઈ,રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
રાજકોટના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણના થાય છે તે જંગલેશ્વરમાં સોમવારથી મહાપાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યારે આ ડિમોલિશનને લઈને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ડિમોલિશનને ધ્યાનમાં રાખી ચાર લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આખા શહેરમાં ડ્રોન ઉડાડવાની પણ મનાઈ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
4 કરતા વધારે માણસોને ભેગા થવા પર પ્રતિબંધ
આગામી દિવસોમાં રાજકોટ શહેર ખાતે તા.23 ફેબ્રુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાની મેગા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આ ડિમોલીશનમાં આવારા તત્વો/ ભાંગ ફોડીયા તત્વો દ્વારા કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન કરે તેમજ જાહેર જનતાની સુરક્ષા સારૂ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યા/રોડ ઉપર સામાન્ય સંજોગો સિવાય ચાર કરતા વધારે માણસોને ભેગા થવા પર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.

રાજકોટ પોલીસ દ્વારા વિવિધ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ
પરવાનગી વગર જાહેર જગ્યા/રોડ ઉપર સામાન્ય સંજોગો સિવાય ચાર કરતા વધારે માણસોને ભેગા થવા પર પ્રતિબંધ.
અમલવારીના સમય તથા વિસ્તાર
આ જાહેરનામાનો અમલ તા.23/02/2026 થી તા.26/02/2026 સુધી રાજકોટ શહેરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે
અપવાદ
આ જાહેરનામું સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યક્તિઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓ જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તથા સ્મશાન યાત્રા અને લગ્નનાં વરઘોડાને લાગુ પડશે નહિ.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારે ભારતીય ન્યાય સંહિતા(BNS)-2023ની કલમ 223 મુજબ તથા જી.પી.એકટ કલમ 135(3) મુજબ શિક્ષાને પાત્ર છે.
ડિમોલિશન કરવા માટે તંત્રની તૈયારી
બૂલડોઝર આડા સૂઈ જવું કે બીજા કોઈ છમકલા કરનારની ખેર નથી: પોલીસની ખાસ તૈયારી
સ્વાભાવિક પણે કોઈનું ઘર તૂટતું હોય તો રોષ થાય જ, આવું જ કંઈક ડિમોલિશન સમયે પણ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે. સ્થળ ઉપર ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની 10થી વધુ ટીમ ઉપરાંત રાજકોટનો મહત્તમ પોલીસ કાફલો તૈનાત રહેશે ત્યારે આ સમયે બૂલડોઝર આડા સૂઈ જવું કે અન્ય કોઈ પ્રકારના છમકલા કરનારા તત્ત્વોની ખેર નહીં રહે તે વાત નિશ્ચિત છે.
સવારે સાત વાગ્યાથી ડિમોલિશન શરૂ થઈ જશે
મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે સોમવારે સવારે સાત વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. એક સાથે 1489 દબાણ દૂર કરવાના હોવાથી કદાચ એક દિવસમાં ડિમોલિશન પૂરું થાય તેવી શક્યતા ન જણાતી હોય તંત્ર દ્વારા બેથી ત્રણ દિવસ સુધી આ કાર્યવાહી કરાય તેવી શક્યતા પણ રહેલી છે.
