જંગલેશ્વરમાં રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન: 1489 દુકાન-મકાન તૂટશે, 2000 જવાનોનો લોખંડી બંદોબસ્ત, જાણો ડિમોલિશન ક્યાંથી શરૂ થઈ ક્યાં પૂરું થશે ?
જંગલેશ્વરમાં રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન સોમવારે થવા જઈ રહ્યું છે ત્યારે ભારે ઉચાટભરી સ્થિતિ નિર્માણ પામી જવા પામી છે. બીજી બાજુ દબાણો તોડી પાડવા માટે મક્કમ તંત્ર પણ પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યું છે. સોમવારે જેવો આકાશમાં ઉજાશ થશે કે પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મહાપાલિકાનો કાફલો બૂલડોઝરના કાફલા સાથે જંગલેશ્વર વિસ્તારમાં ત્રાટકશે અને એક બાદ એક દબાણ તોડવાનું શરૂ કરી દેશે. એકંદરે સવા બે કિલોમીટર વિસ્તારમાં થનારા આ ડિમોલિશનમાં 1489 મકાન, દુકાન સહિતનું દબાણ કે જે ગેરકાયદેસર છે તેને તોડી પાડવામાં આવશે તો અમુક મકાન-દુકાનના ઓટલા જ તૂટશે.
આ અંગે વોર્ડ નં.16ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (એટીપી) અશ્વિન પટેલે જણાવ્યું કે નદીકાંઠાના વિસ્તારમાં જે ડિમોલિશન કરવામાં આવનાર છે તે એકતા કોલોનીથી શરૂ થઈ જંગલેશ્વર શેરી નં.4 અને ત્યાંથી શેરી નં.30 સુધી ચાલશે. આ વિસ્તારમાં 992થી વધુ દબાણ હોય તેને તોડી પડાશે. આ જ રીતે 40 મીટર ટાઉન પ્લાનિંગ રોડ પર જે દબાણ છે તેનું ડિમોલિશન 80 ફૂટ રોડ પર આવેલા સ્મશાનથી શરૂ કરી નાડોદાનગર સુધી કરવામાં આવશે. અહીં 487 જેટલા દબાણો હોવાનું ધ્યાન પર આવ્યું છે.

આટલું મોટું ડિમોલિશન હોવાથી સ્વાભાવિકપણે જ મશીનરી તેમજ મજૂરોની વધુ જરૂરિયાત રહેતી હોવાથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ-અલગ 7 કમિટી બનાવી તેમને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશન માટે જરૂરી સાધન-સામગ્રી તેમજ મજૂરોની યાદી સોંપાયા બાદ હવે આ તમામ છેડા ભેગા કરવા માટે સવારથી જ મહાપાલિકા કચેરીમાં કવાયત જોવા મળી હતી.
ગુરૂવારે મહાપાલિકાના અધિકારીઓએ જ્યાં ડિમોલિશન કરવાનું છે ત્યાંની વિઝિટ કરી માર્કેશન પણ કર્યું હતું. આ પ્રમાણે ડિમોલિશનનો વિસ્તાર સવા બે કિલોમીટર થતો હોવાનું સામે આવ્યું હતું. હવે આજે શુક્રવારથી લોકોને જાતે જ દબાણ દૂર કરવા સમજણ આપવામાં આવશે. મોટાપાયે ડિમોલિશન કરવામાં આવનાર હોવાથી રાજકોટ પોલીસ ઉપરાંત બહારથી 1000 પોલીસ જવાનો બંદોબસ્ત માટે બોલાવવામાં આવશે.
ડિમોલિશન દરમિયાન કોઈ જ પ્રકારનો કાંકરીચાળો ન થાય કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે 6 ડીસીપી, 17 એસીપી, 70 પીએસઆઈ, 30 પીઆઈ, એસઆરપીની 9 ટુકડી જેમાં એક ટુકડીમાં 32 જવાન સામેલ હોય છે ઉપરાંત પોલીસ, હોમગાર્ડ સહિત 2000થી વધુનો કાફલો તૈનાત રહેશે.
ડિમોલિશન ક્યાંથી શરૂ થઈ ક્યાં પૂરું થશે ?
- નદીકાંઠાનો વિસ્તાર: એકતા કોલોનીથી શરૂ થઈ જંગલેશ્વર શેરી નં.30 સુધી
- 40 મીટર ટીપી રોડ: 80 ફૂટ રોડ પર સ્મશાનથી શરૂ થઈ નાડોદાનગર સુધી
એક દિવસમાં ડિમોલિશન પૂર્ણ નહીં થાય
આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે જો લોકો સ્વૈચ્છાએ દબાણ છોડી દેશે તો ડિમોલિશન કરતા બહુ સમય નહીં લાગે પરંતુ સવા બે કિલોમીટર વિસ્તારમાં ડિમોલિશન કરવાનું હોય દબાણગ્રસ્ત હોય તે જ જમીન ખુલ્લી કરાવવાની હોવાથી દબાણ ન કર્યું હોય તેવી મિલકતને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું હોવાથી સંભવત: આ ડિમોલિશન એક દિવસમાં પૂર્ણ થાય તેવું લાગી રહ્યું નથી અને આ માટે મંગળવાર સાંજ અથવા તો બુધવાર સુધીમાં દબાણો તૂટી જાય તેવી શક્યતા છે.
દરગાહ હોય કે મંદિર, પવિત્રગ્રંથ મળે એટલે માનપૂર્વક સોંપણી કરજો: પોલીસ કમિશનરનો સ્ટાફને આદેશ
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ રાજકોટ પરત આવીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિમોલિશન થઈ રહ્યું હોય ત્યારે તૈનાત પોલીસ સ્ટાફે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે દરગાહ હોય કે મંદિર તેમાંથી પવિત્રગ્રંથ મળે એટલે તેની માનપૂર્વક સોંપણી કરવાની રહેશે. આ ઉપરાંત ઘર્ષણ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ ન કરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો.
ક્રાઈમ સહિતની બ્રાન્ચને અત્યારથી જ ‘એલર્ટ’ કરી દેવાઈ, સાયબર ક્રાઈમને સોશિયલ મીડિયા પર નજર રાખવા જવાબદારી
જંગલેશ્વર રાજકોટનો સંવેદનશીલ વિસ્તાર હોય ત્યાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન થવા જઈ રહ્યું હોવાથી તકેદારી વધુ રાખવાની જરૂરિયાત હોય પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની ટીમને તાત્કાલિક એલર્ટ કરી દઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા, શંકાસ્પદ હિલચાલ જણાય તો ડિટેઈન કરવા સહિતની જવાબદારી સોંપી હતી. સાથે સાથે સાયબર ક્રાઈમ પોલીસ મથકના અધિકારીઓને સોશિયલ મીડિયા ઉપર બાજનજર રાખવા તેમજ કોઈ પ્રકારની અફવા ન ફેલાય તેનું ધ્યાન રાખવા હુકમ કર્યો હતો.
