સોમનાથને મળશે આંતરરાષ્ટ્રીય ઓળખ: ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે,યાત્રાધામના વિકાસ માટે 550 કરોડની જોગવાઇ
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના યાત્રાધામના વિકાસ માટે કરોડોની રકમની જોગવાઈ સૂચવી છે. જેમાં સોમનાથ અંબાજી સહિતના યાત્રાધામનો સમાવેશ થાય છે.
પોતાના પ્રવચનમાં કનુભાઈ દેસાઈએ કહ્યુ હતું કે, વડાપ્રધાને વન સ્ટેટ-વન ગ્લોબલ ડેસ્ટીનેશનનું વિઝન રજુ કર્યું છે ત્યારે તેને સાકાર કરવા માટે રાજ્ય સરકાર સોમનાથને ગ્લોબલ ડેસ્ટીનેશન તરીકે વિકસાવશે.
આ ઉપરાંત રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે વેડ ઇન ગુજરાતના પ્રચાર દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઉભી કરવામાં આવશે.
આ બજેટમાં ગુજરાત યાત્રાધામના વિકાસ માટે કરોડોની જોગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ જોગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે.
સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે ₹447 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
