મોતીના તોરણ,ઝુમર, આભૂષણમાંમહિલાઓ ગૂંથી રહીછે સ્વાભિમાન
મહેઝબીનબેનના માર્ગદર્શન હેઠળ સખી મંડળની બહેનો દર મહિને રૂ.10,000થી વધુ કમાઈ
આત્મવિશ્વાસ સાથે ઉભી કરી રહી છે પોતાની ઓળખ
ક્યારેક નાનકડા મોતી માત્ર આભૂષણ નથી બનતા, પરંતુ તે આત્મવિશ્વાસ, આશા અને સ્વાભિમાનની માળા પણ ગૂંથી જાય છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પોતાની હસ્તકલા અને મહેનતના બળ પર આજે આત્મનિર્ભરતાની નવી ઓળખ ઉભી કરી રહી છે. મોતીકામ જેવી પરંપરાગત કલા તેમના માટે માત્ર કલા નથી રહી, પરંતુ જીવન બદલવાનો મજબૂત આધાર બની છે.
મોતીકામ (બીડ વર્ક) જેવી પરંપરાગત કલા થકી અનેક બહેનોને રોજગારી અને આત્મવિશ્વાસનો માર્ગ બતાવનાર સુરતના વતની મહેઝબીનબેન અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તાજેતરમાં રાજકોટમાં યોજાયેલા
કુટિર અને હસ્તકલા મેળો-2026માં તેમણે પોતાની અનોખી કલા રજૂ કરી હતી, જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ બન્યું હતું.
મહેઝબીનબેન પોતાના અનુભવ શેર કરતા જણાવે છે કે, “મારી શરૂઆત નાનાં મોતીકામના ઉત્પાદનો બનાવવાથી થઈ હતી. ધીમે ધીમે મેં તોરણ, લટકણ, ઝુમર, ઘર સજાવટની વસ્તુઓ અને મહિલાઓ માટે આકર્ષક ઘરેણાં
બનાવવાનું શરૂ કર્યું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રચાયેલા સખી મંડળમાં જોડાયા પછી મારા સાથે 10 જેટલી બહેનો કામ કરતી હતી, જ્યારે આજે અમારા વિસ્તારમાં 10થી વધુ સખી મંડળો કાર્યરત છે, જેમાં અનેક બહેનોને રોજગારી મળી રહી છે.”
મહેઝબીનબેન દેશભરના વિવિધ હસ્તકલા મેળાઓમાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરે છે અને અન્ય મહિલાઓને પણ આ કલા શીખવી સ્વરોજગારી તરફ દોરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ કામ કરતી બહેનો દર મહિને લગભગ રૂ.10,000થી વધુ આવક મેળવી પોતાના પરિવારનું સ્વાભિમાનપૂર્વક ગુજરાન ચલાવી રહી છે.મહિલાઓના સશક્તિકરણ અને હસ્તકલા ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ મહેઝબીનબેનને કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ 2020માં “હાથશાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
