બજેટ 2026માં કરદાતાઓને સીધી રાહત: ટેક્સ અસેસમેન્ટ અને પેનલ્ટી નિયમોમાં મોટો ફેરફાર, અસેસમેન્ટ–દંડ પ્રક્રિયા થશે સરળ
બજેટ 2026માં કેન્દ્ર સરકારે ટેક્સ વ્યવસ્થાને વધુ સરળ અને કરદાતા-મૈત્રીપૂર્ણ બનાવવા માટે મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. સૌથી મોટો ફેરફાર તરીકે અસેસમેન્ટ અને પેનલ્ટી સંબંધિત કાર્યવાહી હવે અલગ-અલગ ઓર્ડર બદલે એક જ કોમન ઓર્ડરમાં કરવામાં આવશે, જેથી લાંબા વિવાદો અને લિટિગેશનમાં ઘટાડો થશે.
અપિલ પ્રક્રિયામાં પણ કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. પ્રથમ અપિલ સત્તા સમક્ષ અપિલ પેન્ડિંગ રહે તે સમયગાળા દરમિયાન પેનલ્ટી રકમ પર કોઈ વ્યાજ વસૂલાશે નહીં. સાથે જ, અપિલ ફાઇલ કરવા માટેની પ્રી-ડિપોઝિટ રકમ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે, અને તે પણ માત્ર કોર ટેક્સ ડિમાન્ડ પર જ ગણાશે.
બજેટની એક વધુ મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ, હવે રિ-અસેસમેન્ટ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય ત્યાર બાદ પણ કરદાતાઓ પોતાની ટેક્સ રિટર્ન અપડેટ કરી શકશે. આવી અપડેટેડ રિટર્ન માટે લાગુ દર ઉપરાંત વધારાના 10 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. એકવાર અપડેટેડ રિટર્ન દાખલ થયા બાદ, અસેસિંગ ઓફિસર રિ-અસેસમેન્ટ માત્ર આ નવી રિટર્નના આધારે જ કરશે, જેથી સ્વૈચ્છિક સુધારાને પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો :Union Budget 2026-27: કપડાં, ફૂટવેરથી લઈને દવાઓ સુધી…આ વસ્તુઓ થશે સસ્તી,જાણો બજેટમાં જાહેરાત બાદ શું મોંઘું થશે
આ ઉપરાંત, અન્ડર-રિપોર્ટિંગ કેસમાં ઈમ્યુનિટી સંબંધિત હાલની જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. નાના ટેક્સ ગુનાઓ—જેમ કે બુકસ રજૂ ન કરવી અથવા કાઈન્ડમાં ચુકવણી વખતે TDSની ખામી—હવે ફોજદારી ગુનાના બદલે સિવિલ લાપ્સ ગણાશે અને માત્ર નાણાકીય દંડ લાગશે.
- અસેસમેન્ટ અને પેનલ્ટી હવે એક જ કોમન ઓર્ડરમાં
- અપિલ દરમિયાન પેનલ્ટી પર કોઈ વ્યાજ નહીં
- અપિલ માટે પ્રી-ડિપોઝિટ 20%થી ઘટીને 10%
- પ્રી-ડિપોઝિટ માત્ર કોર ટેક્સ ડિમાન્ડ પર જ
- રિ-અસેસમેન્ટ શરૂ થયા બાદ પણ રિટર્ન અપડેટ કરવાની છૂટ
- અપડેટેડ રિટર્ન પર વધારાના 10% ટેક્સ સાથે અંતિમ તક
- નાના ટેક્સ ગુનાઓ ડિક્રિમિનલાઇઝ, ફોજદારી કાર્યવાહી નહીં
