દેવાને લીધે આપઘાતનો વિચાર કરતા લોકોની વ્હારે આવશે સંસ્થા: લોકોને દેવામાંથી મુકત કરવા માટે એક અનોખી ઝુંબેશ
આપણે સમાચાર માધ્યમોમાં છાશવારે દેવાને લીધે કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી એવું વાંચવા મળે છે…આ ઉપરાંત હપ્તા ન ભરી શકતા અથવા પાક નાશ પામતા ખેડૂતો આપઘાત કરે છે તેવું પણ વાંચવા મળે છે. આવા લોનનાં બોજા હેઠળ દબાયેલા લોકોની વ્હારે ગુજરાતની કર્જા મુક્તિ અભિયાનની ટીમ આવી છે. વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે આવેલા આ અભિયાનના પ્રદેશ પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટ, નારણભાઈ મકવાણા વગેરેએ દેવા હેઠળ દબાયેલા લોકોની મનોસ્થિતિ વર્ણવી હતી અને તેમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
રાજેશ્વર બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, કર્જા મુક્તિ અભિયાન હેઠળ રાજકોટમાં આગામી ફેબ્રુઆરી માસમાં એક સંમેલન યોજવામાં આવશે અને તેના માધ્યમથી જનજાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવશે. આ સંમેલનમાં લોકોને રીઝર્વ બેન્કની ગાઈડલાઈનથી પણ વાકેફ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ઘણી વખત લોન આપનાર બેંકો રીકવરી એજન્ટના માધ્યમથી લોકોનું જીવન હરામ કરી નાખે છે. આવા રીકવરી એજન્ટો અપશબ્દો બોલે છે અને ધમકી પણ આપે છે. આવા એજન્ટોની ધમકીથી ગભરાઈને ઘણા લોકો આત્મહત્યા કરવા સુધીના પગલાં લેતા હોય છે. આવા લોકોને આત્મહત્યા કરતા બચાવવા એ અમારા સંગઠનનો મુખ્ય હેતુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
