ભારત સાથે વેપાર કરાર કરવાનો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો ઇનકાર
જી -20 શિખર બેઠક પેહલા ભારતને મોટો ફટકો, આશા ઠગારી નીવડી
બ્રિટનમાં ભારતીય મૂળના નેતા વડાપ્રધાન બન્યા બાદ એવી આશા હતી કે ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનશે પણ આ આશા ઠગારી નીવડી છે. કેનેડાએ તાજેતરમાં જ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપાર સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો નિર્ણય કર્યા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરાર કરવાનો ઈનકાર કરી દીધો છે.
G-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે આ સતત બીજો આંચકો મનાઈ રહ્યો છે. જો કે હજુ ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
માહિતી અનુસાર G-20 શિખર સંમેલન સમયે હવે બ્રિટન અને ભારત વચ્ચે વેપાર સમજૂતી થવી મુશ્કેલ થઈ જશે. બની શકે કે હવે આગામી વર્ષે ચૂંટણી યોજાવા સુધી પણ આ સમજૂતી થઈ શકશે નહીં. કેટલાક અહેવાલોમાં સૂત્રોના હવાલાથી જણાવાયું હતું કે બ્રિટનના વડાપ્રધાને અર્લી હાર્વેસ્ટ ડીલના વિચારને ફગાવી દીધો છે.
વડાપ્રધાન મોદી ચાલુ અઠવાડિયાના અંતે નવી દિલ્હી ખાતે તેમના સમકક્ષ અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરવાના છે. જોકે તે પહેલાં જ બ્રિટનના વેપાર ડીલ તાત્કાલિક ધોરણે નહીં કરવાના નિર્ણયે સમજૂતી પર પહોંચવાની કોઈપણ પ્રકારની શક્યતાઓનો અંત લાવી દીધો છે.