દક્ષિણના ગઢમાં કેસરિયો લહેરાયો
કેરળની તિરુવનંતપુરમ મનપા ભાજપને ફાળેઃ 45 વર્ષ જૂના ડાબેરી ગઢને ધ્વસ્ત
કર્યોઃ સ્થાનિક ચુંટણીના પરિણામ જાહેરઃ કોંગે્રસ પ્રેરિત યુડીએફનો વિજય; મોટા
ભાગની પાલિકા, પંચાયતો મેળવીઃ શશિ થરૂરના વતનમાં જ ભાજપનો વિજય
શનિવારે કેરળના રાજકારણમાં એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળના એનડીએએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલીવાર જંગી વિજય મેળવ્યો છે. આ વિજય સાથે ભાજપે સીપીઆઇ(એમ)ની આગેવાની હેઠળના એલડીએફના 45 વર્ષ જૂના ગઢને તોડી નાખ્યો છે. શનિવારના પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. એનડીએએ કોર્પોરેશનના 101 વોર્ડમાંથી 50 ઉપર જીત મેળવી હતી. જો કે નગર પંચાયતો, જિલ્લા પંચાયતો અને મહાપાલિકા તેમજ ગ્રામ્ય પંચાયતોમાં કૉંફરેસ પ્રેરિત યુડીએફનો જ વિજય થયો છે. તિરુવનંતપુરમ કોંગીના નેતા શશી થરૂરનો ગઢ મનાય છે. દક્ષિણના બીજા ગઢમાં કેસરીયો લહેરાયો છે.
દરમિયાન, શાસક એલડીએફ 29 બેઠકો પર સમેટાઈ ગયું, અને મુખ્ય વિપક્ષ કોંગે્રસની આગેવાની હેઠળના યુડીએફને ફક્ત 19 બેઠકો મળી. બે બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી. આ જીત મહત્વપૂર્ણ છે કારણ કે ડાબેરી પક્ષો છેલ્લા સાડા ચાર દાયકાથી આ કોર્પોરેશન પર એકાધિકાર ધરાવતા હતા. રાજધાનીમાં આ સફળતા આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ માટે જીવનરેખા તરીકે કામ કરશે તેમ મનાય છે.
ભાજપનો ધીમે ધીમે વિકાસ
તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપનું પ્રદર્શન સતત સુધર્યું છે, અને આ વખતે તે બહુમતી સુધી પહોંચ્યું. આંકડાઓ પર નજર કરીએ તો, 2010માં, ભાજપ પાસે અહીં ફક્ત 6 કાઉન્સિલર હતા. 2015માં, આ સંખ્યા વધીને 35 થઈ ગઈ, અને 2020માં તે થોડી ઘટીને 34 થઈ ગઈ, છતાં પાર્ટી મુખ્ય વિપક્ષ રહી. આ વખતે, 50 બેઠકો જીતીને, પાર્ટીએ પોતાની તાકાત દર્શાવી છે, સ્પષ્ટ બહુમતી નજીક પહોંચી ગઈ છે. દરમિયાન, કોંગે્રસના શશિ થરૂરના મતવિસ્તારમાં હાર યુડીએફ માટે િંચતાનું કારણ છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું, કેરળના રાજકારણમાં મોટો વળાંક, થેન્ક યુ તિરુવનંતપુરમ
વડાપ્રધાન મોદીએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ઐતિહાસિક જીત પર શહેરના લોકો અને પાર્ટી કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, આભાર તિરુવનંતપુરમ! કોર્પોરેશનમાં ભાજપને જે જનાદેશ મળ્યો છે તે કેરળની રાજીનીતીમાં એક ઐતિહાસિક ક્ષણ છે મોટો વળાંક છે. લોકોને વિશ્વાસ છે કે રાજ્યના વિકાસની આકાંક્ષાને માત્ર અમારી પાર્ટી જ પૂરી કરી શકે છે. આમારી પાર્ટી આ જીવંત શહેરના વિકાસ માટે કામ કરશે અને લોકો માટે ઈઝ ઓફ લીવીંગને બેહતર બનાવશે ભાજપના કાર્યકરો જ અમારી તાકાત છે.
