ઝારખંડના મુખ્યમંત્રી સોરેને કેન્દ્ર સરકારને શું આપી ધમકી ? શું છે મામલો ? જુઓ
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં ચીમકી આપી છે કે, જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો અમે દેશમાં અંધકાર ફેલાવી દેશું. અમે કેન્દ્ર સરકાર પાસેથી અમારા બાકી રૂ. 1.36 લાખ કરોડ લેણાં પાછા લઈશું. કોલસાની ખાણો બંધ કરી દેવામાં આવશે.
ઝારખંડ મુક્તિ મોરચાના 53માં સ્થાપના દિવસ નિમિત્તે ગોલ્ફ ગ્રાઉન્ડમાં આયોજિત બેઠકમાં મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમના પત્ની તથા ગાંડેયના ધારાસભ્ય કલ્પના સોરેને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ‘જો અમને અધિકારો નહીં અપાય તો અમે કેન્દ્ર સરકાર સાથે કાયદાકીય લડાઈ લડીશું એટલું જ નહીં કોલસાની ખાણો પણ બંધ કરાવીશું. તેનાથી સમગ્ર દેશ અંધકારમાં ડૂબી જશે. ઝારખંડ હવે કેન્દ્ર સરકારના સાવકી માતા જેવું વર્તન સહન કરશે નહીં.’
હેમંત સોરેને જણાવ્યું કે, ‘કેન્દ્રીય કોલસા મંત્રી ઝારખંડ આવ્યા હતા. કોલસા મંત્રીએ કહ્યું કે ઝારખંડમાં જમીનનો ભાવ વધુ છે, જેમાં ઘટાડો કરવો જોઈએ. અમે તેમને જવાબ આપ્યો કે, જમીન અમારી છે અને જમીનના દર અમને જે જોઈએ તે માગીશું. કોલસા કંપનીઓએ જે ખાણોમાંથી ખાણકામ બંધ કર્યું છે તે ખાણોની જમીન માલિકોને પરત કરી દેવી જોઈએ. જો આમ નહીં થાય તો અમે તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું.’
હેમંતે બજેટમાં ઝારખંડની ઉપેક્ષા કરવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોરેને કહ્યું કે ‘જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં પણ ઝારખંડને કંઈ મળ્યું નથી. મનરેગાની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે.