દિલ્હીના કોચિંગ સેન્ટરો અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
દિલ્હી કોચિંગ સેન્ટરની અતિ કરૂણ ઘટના પર સુપ્રીમ કોર્ટ સોમવારે લાલઘૂમ થઈ હતી. કોચિંગ સેન્ટરોમાં વધી રહેલા જોખમ અને સતત થઈ રહેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખી સેફ્ટી માટે ગાઈડલાઈન બનાવવા અંગે સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લેતા મોટો આદેશ આપ્યો હતો. કોર્ટે દિલ્હીના કોચિંગ સેન્ટરને ડેથ ચેમ્બર ગણાવ્યા હતા. કોર્ટે અરજદાર કોચિંગ સેન્ટર ફેડરેશન પર 1 લાખ રૂપિયાનો મસમોટો દંડ પણ ફટકાર્યો હતો.
દિલ્હીના રાજિન્દર નગરમાં કોચિંગ સેન્ટરમાં 3 વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હીના કોચિંગ સેન્ટરોની સુરક્ષા અંગે સ્વત: સંજ્ઞાન લઈને કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, કોચિંગ સેન્ટર બાળકોના જીવન સાથે રમી રહ્યા છે. કોચિંગ ડેથ ચેમ્બર બની ગયા છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હીના ચીફ સેક્રેટરીને નોટિસ પાઠવીને પૂછ્યું કે, શું કોચિંગ સેન્ટરોમાં સેફ્ટીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે? સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલને આ મામલે કોર્ટની મદદ કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે, અમારું માનવું છે કે, જો કોચિંગ સેન્ટર સેફ્ટી નોર્મને પૂર્ણ નથી કરી શકતા તો તેને ઓનલાઈન મોડમાં કરી દેવા જોઈએ. પરંતુ હાલમાં અમે આવું ન કરી શકીએ.
દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારવા બદલ સુપ્રીમ કોર્ટે કોચિંગ સેન્ટર ફેડરેશનના અધ્યક્ષ, સચિવ અને કોષાધ્યક્ષ પર એક-એક લાખનો દંડ ફટકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે મુખર્જી નગર કોચિંગ દુર્ઘટના બાદ જે કોચિંગ સેન્ટર પાસે ફાયર એનઓસી નથી તેને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશને કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.