ક્ષત્રિય સમાજનું તડ અને ફડ : રૂપાલા તો ધોળે ધરમેય નહી
યે તો હોના હી થા….: ભાજપ સરકારના આગેવાનો અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક નિષ્ફળ
તમારે એક રૂપાલા જોઈએ છે કે ગુજરાતના ૭૫ લાખ અને દેશના ૨૨ કરોડ ક્ષત્રિયો ?
માત્ર રાજકોટ નહી પણ આખુ ગુજરાત બનશે યુધ્ધનું મેદાન
- રૂપાલાની ઉમેદવારી મુદ્દે કોકડું વધુ ગૂંચવાયુ, ભાજપની મૂંઝવણ વધી
રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદનું કોકડું વધુ ગૂંચવાયું છે અને ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક નિષ્ફળ ગઈ છે. પુરુષોત્તમ રૂપાલાએ એક થી વધુ વખત માફી માગી લીધી છે અને તેથી ક્ષત્રિય સમાજે માફી આપી દેવી જોઈએ તેવી ઓફર અને વિનંતી સાથે આજે ગુજરાત સરકાર વતી કેટલાક ક્ષત્રિય આગેવાનો અને આંદોલન કરનારા ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં ક્ષત્રિય આગેવાનો પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા અને રાજકોટની બેઠક ઉપરથી રૂપાલાને હટાવવાની માંગણી યથાવત રાખી હતી. ક્ષત્રિય આગેવાનોએ જો રાજકોટની બેઠક ઉપરથી હટાવવામાં નહી આવે તો તેની અસર ગુજરાતની ૨૬ બેઠક ઉપર પડશે તેવી ચીમકી પણ આપી હતી. આમ ક્ષત્રિયોના અડગ વલણને લીધે હવે ભાજપની મૂંઝવણ વધી ગઈ છે.
આજે અમદાવાદમાં સરકારના પ્રતિનિધિઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સરકારના પ્રતિનિધિ અને રાજ્યના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, અમે સંકલન સમિતિ સમક્ષ સરકારનો અભિગમ રાખ્યો હતો અને કહ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ એકથી વધુ વખત માફી માગી લીધી છે અને પક્ષનાં પ્રદેશ પ્રમુખે પણ હાથ જોડીને વિનંતી કરી છે તેથી હવે ક્ષત્રિય સમાજે પણ રૂપાલાને માફી આપી દેવી જોઈએ. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, અમારી વિનંતીને સંકલન સમિતિએ સ્વીકારી નથી અને સર્વાનુમતે રૂપાલાને હટાવવાની માંગણી કરી હતી. હવે સંકલન સમિતિની વાત અમે સરકાર સમક્ષ મૂકશું.
આ બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના કન્વીનર કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, અમારી માંગણી પહેલા પણ એ જ હતી, અત્યારે પણ એ જ છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. અમારી રૂપાલાની ટીકીટ રદ થાય એ જ માંગણી છે. અમારે ભાજપની નેતાગીરીને એ જ પૂછવું છે કે, તમારે એક રૂપાલાને સાચવવા છે કે ગુજરાતના ૭૫ લાખ અને ભારતભરનાં ૨૨ કરોડ ક્ષત્રિયને સાચવવા છે ?
કરણસિંહ ચાવડાએ કહ્યું હતુ કે હવે કોઇ બેઠક થશે નહીં. કોઈ રાજકીય પક્ષ અમારા પર દબાણ કરી શકશે નહીં. પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવશે. હવે આ યુધ્ધ માત્ર રાજકોટ પુરતું જ મર્યાદિત નહી રહે પણ સમગ્ર ગુજરાત યુધ્ધનું મેદાન બનશે. અમારી આ લડતની અસર તમામ ૨૬ બેઠક ઉપર થશે. રાજકોટમાં ૪૦૦ ભાઈ-બહેનો અપક્ષ ઉમેદવારી નોંધાવશે અને એક મહા સંમેલન પણ બોલાવશે.
મહિલા આગેવાન તૃપ્તિબા રાઓલે કહ્યું હતું કે રાજપૂતોની ઇતિહાસની કુરબાની ભૂલાઈ અને નિવેદનો અપાયા છે. આ સ્વાભિમાનનો સવાલ છે. પણ જો રૂપાલાની ટિકિટ રદ્દ નહિ થાય તો આખો રાજપૂત સમાજ માની લેશે કે ભાજપ રૂપાલા સાથે છે અને યોગ્ય જવાબ આપશે.
આ બેઠકમાં સરકાર વતી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા, હકુભા, કેસરીદેવ સિંહ તથા ક્ષત્રિય સમાજ વતી કોર કમિટીનાં કરણસિંહ ચાવડા, રમજુભા, તૃપ્તિબા રાઓલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.