હરિયાણામાં કોંગ્રેસને કારમો આઘાત
કિસાન -પહેલવાન – જવાન પરિબળ કામ ન લાગ્યું જાટલેન્ડમાં પણ કમળ પુરબહારમાં ખીલ્યું
ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલાવવાનો ભાજપનો જુગાર સફળ રહ્યો: દલિત મતદારો ભાજપ સાથે રહ્યા
હરિયાણામાં લોકસભાની ચૂંટણીમાં દસમાંથી પાંચ બેઠકો પર વિજય મેળવ્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ બહુમતી મેળવી સત્તા કબજે કરવાનું કોંગ્રેસનું સ્વપ્ન પર હરિયાણાના મતદારોએ પાણી ફેરવી દેતા કોંગ્રેસને કારમો ઝાટકો લાગ્યો છે. ગત ચૂંટણીની તુલનામાં કોંગ્રેસની છ બેઠકો વધી પણ બહુમતીના આંકડાથી છેટુ રહી ગયું.
હરિયાણામાં દસ વર્ષના શાસન બાદ ભાજપ સામે સત્તા વિરોધી લહેર હતી પરંતુ એ પરિબળને મહાત કરવા માટે મુખ્યમંત્રી પદેથી મનોહરલાલ ખટ્ટરને હટાવી નવાબસિંહ સૈનીને સુકાન સોંપવાનો ભાજપનો જુગાર સફળ રહ્યો હતો.બીજી તરફ બહુમતી મેળવવામાં કોંગ્રેસની નિષ્ફળતા માટે તેનો વધારે પડતાં આત્મવિશ્વાસને કારણે જમીની વાસ્તવિકતા અને પ્રજાના રોગને પારખવાની નબળાઈ કારણભૂત હોવાનું
માનવામાં આવે છે.
હરિયાણામાં ભાજપની વિરુદ્ધમાં અનેક મુદ્દાઓ હતા.કિસાન આંદોલન ચાલુ હતું.કેટલાક ગામડાઓમાં કિસાનો ભાજપના ઉમેદવારોને પ્રવેશવા પણ ન દેતા એટલો રોષ હતો.પહેલવાનો પરના અત્યાચારનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો.વિનેશ ફોગટ ને ટિકિટ આપી કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માનતા હતા. અગ્નિવીર યોજનાને કારણે જવાનો નારાજ હતા.આ બધા પરિબળોની અસરો લોકસભાની ચૂંટણીમાં જોવા મળી હતી અને એ પરિબળોને કારણે જ 2019 ની લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ન મેળવી શકનાર કોંગ્રેસનો પાંચ બેઠક ઉપર વિજય થયો હતો.પહેલવાનો પરના અત્યાચાર અને કિશાન આંદોલનને કારણે હરિયાણામાં 24 ટકા વસ્તી ધરાવતા જાટ સમુદાયનું સમર્થન મળવાની કોંગ્રેસને આશા હતી પણ પરિણામોએ સાબિત કર્યું છે કે ધારણા મુજબની એ આશા સફળ નથી થઈ.
જાટ વિરુદ્ધ અન્ય સમુદાયોનું ધ્રુવીકરણ
ભુપેન્દ્રસિંહ હુડ્ડાની આગેવાની હેઠળ જાટ સમુદાયનું સમર્થન મેળવવાનો કોંગ્રેસની રણનીતિ નિષ્ફળ સાબિત થઈ છે. જાટ સમુદાયના પ્રભુત્વ વાળી 36 માંથી 19 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર હરિયાણામાં જાટ સમુદાયના કથિત રીતે કોંગ્રેસને એક તરફી સમર્થનના વિરોધમાં અન્ય સમાજો અને સમુદાયોનું ભાજપની તરફેણમાં ધ્રુવીકરણ થયું હતું. બીજી તરફ ઓબીસી સમુદાય ભાજપની તરફેણમાં રહ્યો હતો. મુખ્યમંત્રી નવાબ સિંહ સૈની રાજ્યના સૌથી મોટા ઓબીસી નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
દલિત મતદારો કોંગ્રેસ સાથે ન રહ્યા
હરિયાણામાં વિજય મળી જ જવાનો છે એવી આશામાં કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે હોડ જામી હતી. હરિયાણાના સૌથી મોટા દલિત નેતા કુમારી શૈલજાએ જાહેરમાં મુખ્યમંત્રી પદ માટેની દાવેદારી કરી હતી. પ્રારંભના તબક્કે તેઓ પ્રચારથી દૂર રહ્યા હતા. ભારતીય જનતા પક્ષે કોંગ્રેસમાં દલિત નેતાઓની કાંઈ કિંમત નથી અને તેમને અપમાનિત કરવામાં આવે છે એવો મુદ્દો ચગાવ્યો હતો. મનોહરલાલ ખટ્ટરે કુમારી શૈલજાને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં દલિતોના 65 ટકા મત કોંગ્રેસને મળ્યા હતા. આ વખતે જાટ અને દલિત મતદારો કોંગ્રેસની નાવડી પાર ઉતારી દેશે તેવી અપેક્ષા હતી. પણ કુમારી શૈલજાની નારાજગી અને નિષ્ક્રિયતાને કારણે દલિત મતદારો ભાજપ તરફ વળ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
નાના સ્થાનિક પક્ષોએ કરેલું મત વિભાજન કોંગ્રેસને નડ્યું
હરિયાણાની પ્રજાએ તકવાદી નાના પક્ષોને જાકારો આપ્યો છે. ગત ચૂંટણીમાં 10 બેઠકો જીતનાર જેજેપી આ વખતે ખાતું પણ નથી ખોલાવી શકી. દુષ્યંત ચોટાલા ની જેજેપી એ ચંદ્રશેખર આઝાદ ની આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. જેજેપી એ 66 બેઠક ઉપર અને આઝાદ સમાજ પાર્ટીએ 12 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. તેમાંથી એક પણ નથી ચૂંટાયા.એ જ રીતે અભયસિંહ ચૌટાલા ની ઇન્ડિયન નેશનલ લોકડાઉન અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું હતું. એ ગઠબંધનના ઉમેદવારો 86 બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા. તેમાંથી માત્ર બે બેઠકો પર વિજય મળ્યો હતો. આ પાર્ટીઓના ઉમેદવારોને કારણે દલિત અને ઓબીસી વોટ બેન્કનું થયેલું વિભાજન કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થયું હતું.