સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક પ્રિમોન્સુન એક્ટિવિટીની આગાહી
કાળઝાળ ગરમીમાં રાહતની સાથે જ આવતીકાલથી મેઘમુહૂર્તની હવામાન વિભાગે આગાહી .હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજથી હવામાનમાં બદલાવ આવશે અને તા.5મીથી સમગ્ર રાજ્યમાં મીની વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ-મોરબી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે કરા પડશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક એર સર્ક્યુલેશનને લઈ રાજ્યના વાતાવરણમાં બદલાવ સાથે તા.4મે થી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેમાં તા.5 અને તા.6ના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે કરા પડવાની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદ તેમજ કરા પડવાની શક્યતા છે.સાથે જ આગામી તા.9 સુધી રાજ્યભરમાં છુટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર ઉપરી હવાનું ચક્રવાત યથાવત છે.ઉપરોક્ત ચક્રવાત પરિભ્રમણથી દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર ઉત્તર-દક્ષિણ ટ્રફથી દક્ષિણ તમિલનાડુ સુધી તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંતરિક કર્ણાટકમાં પણ સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર રહેવાને કારણે વાતાવરણમાં પલટો આવવાની સાથે અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આમ લાંબો સમય સુધી કાળઝાળ ગરમી પડયા બાદ હવે પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં ગરમીમાં રાહત મળવાના સંકેત મળી રહ્યા છે.
