ફડણવીસ બન્યા મહારાષ્ટ્રના એક`નાથ’
સમંદર પાછો આવ્યો, કમળની લહેર લાવ્યો
ફડણવીસે મુખ્યમંત્રી, શિંદે, અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદે શપથ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, મુકેશ અંબાણી, બિરલા, શાહરૂખ, સલમાન, રણબીર કપૂર સહિતના કલાકારો અને જંગી મેદનીની હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વ્યૂહરચના ભાજપ માટે રંગ લાવી રહી છે અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અતિ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપ સાથેના મહાયુતિ ગઠબંધનને મહારાષ્ટ્રની જનતાએ સત્તા સોંપી દીધા બાદ ગુરુવારે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસના રાજતિલક માટે ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એમની સાથે શિવસેનાના એકનાથ શીંદે અને એનસીપીના અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ પહેલાં શીંદે કદાચ શપથ નહીં લ્યે તેવા અહેવાલો તરતા મુકાયા હતા પરંતુ અંતે તેઓ માની ગયા હતા. આમ, ફડણવીસે ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.
જ્યારે અજીત પવારે છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ સમારોહમાં મોટી સંખ્યામાં વી- આઈપીઓનો કાફલો ઉમટી પડ્યો હતો. બિઝનેસમેનો, ફિલ્મ સ્ટારો અને રાજનેતાઓ તેમજ રમતવીરો પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ યોગી આદિત્યનાથ, શિવરાજ ચૌહાણ, ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજનાથ સિંઘ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, વિજય રૂપાણી, જ્યોતિરાદિત્ય સિંધીયા સહિતના ભાજપના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એ જ રીતે મુકેશ અંબાણી, કુમાર મંગલમ્ બિરલા, શાહરૂખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત, રણબીર કપૂર, રણવીર સિંઘ સહિતના કલાકારો પણ હાજર રહ્યા હતા.
મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં સલામતીનો જડબેસલાક જાપ્તો ગોઠવવામાં આવ્યો હતો. લાડલી બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને ૪૦ હજારથી વધુ લોકો આ શપથ સમારોહના સાક્ષી બન્યા હતા. આમ, મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર સત્તા સ્થાને આવી છે.
જો કે શપથવિધિ સમારોહમાં શિવસેના ઉધ્ધવ જૂથના કોઈ નેતા કે ઉધ્ધવ ઠાકરે, શરદ પવાર કે રાજ ઠાકરે હાજર રહ્યા ન હતા. એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મુંબઇના આઝાદ મેદાનમાં ભવ્ય શપથ સમારોહ યોજાયો: મહાયુતી ગઠબંધન છવાયું
વિભાગો-મંત્રીપદ અંગે બેઠકોનો દોર શરૂ
મહારાષ્ટ્રમાં ફડણવીસ મુખ્યમંત્રી અને શિંદે તથા અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે સક્રિય થયા છે. જો કે, ફડણવીસ સરકારમાં મંત્રીપદ તેમજ વિભાગોની ફાળવણી અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને બેઠકોના દોર ચાલી રહ્યા છે. ગૃહ મંત્રાલય ભાજપ પાસે જ રહેશે તે પહેલા જ ક્લિયર થઇ ગયું છે. આ સિવાયના નાણાં-મહેસુલ સહિતના મહત્વના ખાતા કોને મળે છે તેના તરફ સૌની નજર મંડાઇ છે. ભાજપના ફાળે ૨૨ મંત્રી તેમજ શિંદે જુથને ૧૨ અને અજીત પવાર જુથને ૧૦ મંત્રી મળી શકે છે તેવી ધારણા છે. ભાજપ હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલી રહી છે.