ખરાબ રોડ માટે કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને જેલ ભેગા કરવા જોઈએ
નીતિન ગડકરી આકરાં પાણીએ : આવા રસ્તાનું બાંધકામ બિનજામીનપાત્ર ગુનો હોવો જોઈએ
દેશમાં રસ્તાઓ અને ખાસ કરીને નેશનલ હાઈ-વેની હાલત અત્યંત ખરાબ છે અને આ ખામીયુક્ત રસ્તાને લીધે પ્રાણઘાતક અકસ્માત થાય છે તેમ જણાવતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, આવા રોડ બનાવનારા રોડ કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને જવાબદાર ઠેરવીને જેલમાં મોકલવા જોઈએ.તેમની સામે બિનજામીન લાયક ગુનો પણ દાખલ થવો જોઈએ.
નવી દિલ્હીમાં ઉદ્યોગ સંસ્થા CII દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ વધુમાં કહ્યું કે ભારત વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં નંબર વન છે.નીતિન ગડકરીએ કહ્યું હતુ કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય 2030 સુધીમાં માર્ગ અકસ્માતથી થતા મૃત્યુને ઘટાડીને અડધા કરવાનો લક્ષ્ય રાખે છે.
ગડકરીના જણાવ્યા મુજબ, 2023 માં દેશમાં પાંચ લાખ અકસ્માતો થયા છે અને તેમાં 1,72,000 લોકોના મૃત્યુ થયા હતા.”આમાંથી, 66.4 ટકા, અથવા 1,14,000, 18-45 વર્ષની વય જૂથમાં હતા જ્યારે 10,000 મૃત્યુ બાળકોના હતા.
તેમણે એમ પણ કહ્યું હતુકે, 55,000 મૃત્યુ હેલ્મેટના અભાવને કારણે અને 30,000 મૃત્યુ સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવાને કારણે થયા હતા.
ગડકરીએ એમ પણ કહ્યું કે હાઇવે મંત્રાલય હાઇવે પરના બ્લેક સ્પોટ્સને સુધારવા માટે રૂ. 40,000 કરોડ ખર્ચ કરી રહ્યું છે.ગડકરીએ દેશમાં ડ્રાઇવરોની તીવ્ર અછતને દૂર કરવા માટે ડ્રાઇવર તાલીમ અને ફિટનેસ સેન્ટરો સ્થાપવા માટે સરકાર સાથે ભાગીદારી કરવા ઉદ્યોગ અને અન્ય હિસ્સેદારોને વિનંતી કરી હતી.
