મ્યાનમારમાં સેનાની ક્રુરતા : ભૂકંપ પીડિતો ઉપર બોમ્બ વરસાવ્યા
જુન્ટાએ હવાઈ હુમલા અને ડ્રોનથી લોકો પર હુમલો કર્યો
ભૂકંપથી થયેલા વિનાશ વચ્ચે પણ, મ્યાનમારની સેના પોતાના લોકો પર હવાઈ હુમલા અને ડ્રોન હુમલા કરી રહી છે. મ્યાનમારની સેના, જેને જુન્ટા કહેવામાં આવે છે, તે હજુ પણ લોકોને નિર્દયતાથી મારી રહી છે. ફેબ્રુઆરી 2021 માં, મ્યાનમારમાં સેનાએ દેશની સરકારને ઉથલાવી દીધી હતી. ત્યારથી, મ્યાનમાર ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે, જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે. સેના અને સામાન્ય લોકો સામસામે છે. દેશમાં અનેક બળવાખોર જૂથો ઉભરી આવ્યા છે, જે સતત સૈન્ય સાથે અથડામણ કરતા રહ્યા છે. જેના કારણે મ્યાનમાર સતત ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. પરંતુ કુદરતી આફત દરમિયાન લોકો પર બોમ્બમારો કરવો એ ક્રૂરતાની બધી હદો પાર કરી રહ્યું છે.
બીબીસીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મ્યાનમારમાં ભૂકંપ પછી પણ લશ્કરી પરિષદે હવાઈ હુમલા અને ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે. અહેવાલો અનુસાર, ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં સાગાઈંગમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ભૂકંપથી આ વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે, છતાં સેનાએ અહીં ગોળીબાર કર્યો છે. ચાઉંગ યુ ટાઉનશીપ પીપલ્સ ડિફેન્સ ફોર્સ અનુસાર, સાગાઈંગના ચાઉંગ યુ ટાઉનશીપના ન્વે ખ્વે ગામમાં સ્થાનિક સમય મુજબ સાંજે ૭:૪૦ વાગ્યે બે વાર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સેનાએ કેઈન રાજ્યના લે વાહમાં, કરેન નેશનલ યુનિયન મુખ્યાલય નજીક અને બાગો પ્રદેશના પ્યુમાં બે અન્ય હુમલાઓ કર્યા હતા.