નરેન્દ્ર મોદી 10ને બદલે 11મી જાન્યુઆરીએ રાજકોટ આવશે? સવારે રોડ શો સહિતના આયોજન યથાવત રહેશે:સત્તાવાર જાહેરાત બાકી
રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે પરંતુ તેઓ તા. 10 જાન્યુઆરીને બદલે એક દિવસ મોડા એટલે કે તા. 11મીએ આવીને ઉદઘાટન કરશે તેવું જાણવા મળ્યું છે. જો કે આ ફેરફાર અંગે હજુ સુધી કોઈ પાસે સત્તાવાર માહિતી આવી નથી પરંતુ અંગત સુત્રોએ આપેલી માહિતી અનુસાર, હવે વડાપ્રધાન 11 જાન્યુઆરીએ રાજકોટ આવશે.
મૂળ કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન તા. 10મીએ બપોરે 2-30 વાગ્યે હીરાસર એરપોર્ટ આવીને ત્યાંથી જુના એરપોર્ટ ઉપર અને બાદમાં ત્યાંથી માધાપર ચોકડી સુધી રોડ શો કરવાના હતા. પરંતુ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુત્રોએ આપેલી માહિતી અનુસાર, હવે વડાપ્રધાન તા. 11ના રોજ સવારે રાજકોટ આવશે અને રોડ શો બાદ વાઈબ્રન્ટના સ્થળે મારવાડી યુનિવર્સીટી જશે.
દરમિયાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. 11નાં રોજ સવારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પતંગ મહોત્સવનું ઉદઘાટન થાય તેના માટે પણ ચક્રો ગતિમાન થયા છે. વડાપ્રધાન જુના એરપોર્ટ ઉપરથી સીધા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન કરે અને પછી ત્યાંથી રોડ શો યોજે તેવી સંભાવના છે. ગુજરાત પ્રવાસન વિભાગે પતંગ મહોત્સવ માટે તા. 10થી 12 એમ ત્રણ દિવસ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ મહાપાલિકા પાસે માગ્યું છે.
