આવી સુવિધાને શું ધોઈ પીવી, લાખોનો ખર્ચ શું મોત માટે જ ? રાજકોટ સિટી બસ અકસ્માતની ઘટના બાદ લોકોમાં રોષ
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતથી લોકોમાં ભારે રોષ ઉદભવ્યો હતો. મહાપાલિકા અને પોલીસ બન્નેને આડે હાથ લીધી હતી. મહાપાલિકા દ્વારા આટલી બસ દોડાવીએ છીએ લોકોને સુવિધા આપીએ છીએ. તાજેતરમાં જ શાસકોએ ૨૫ સિટી બસ નવી લોન્ચ કરી ફોટા પડાવ્યા, લાખોનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ સર્વિસ કે દેખરેખમાં ઢોલ માહે પોલની જેમ રઝળુ વહિવટને લીધે બસો મોત બનીને જ શહેરમાં દોડતી રહે છે તો શું આવી સુવિધા ધોઈ પીવાની ? લાખોનો ખર્ચો શું મોત માટે જ ?
મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર સહિતના સિવિલમાં બસચાલકને મળ્યા

અકસ્માતમાં ક્રોધીત ટોળાએ દાવ કરતા ઘાયલ થયેલા બસ ચાલકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓ દોડી ગયા હતા.
લોહીના ખાબોચિયા સાફ કરવા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો

ઇન્દિરા સર્કલ પાસે બસે ચાર-ચાર વ્યક્તિને કચડી નાખતા ઘટના સ્થળે જ બેના મૃત્યુ નિપજ્યા હતા અને લાશ ઢસડાઇ હતી. લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. લોહી સાફ કરવા માટે ફાયર ફાઇટરને બોલાવાયું હતું. ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો મારો ચલાવ્યો હતો.
શાસકો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા

ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા તેમજ મૃતકોના સ્વજનોને દિલાસો આપવા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર તેમજ અન્ય પદાધીકારીઓ, શાસકો, નેતાગણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. સાથે ડીસીપી સહિતનો કાફલો પણ જોડાયો હતો.
પોલીસે મોતનો મલાજો ન જાળવીને લાઠીચાર્જ કર્યો કે સ્થિતિ વિસમ હતી ?

ચાર સેકન્ડમાં જ ચાર-ચાર વ્યક્તિના મોતથી લોકોનો મિજાજ આકરો બન્યો હતો. બસમાં તોડફોડ કરી, ચાલકને માર માર્યો. દ્રશ્યો જ એવા હતા કે કોઇપણ વ્યક્તિને લાશો જોઇને કંપારી છૂટી જાય અને આક્રોશમાં આવી ચડે. સ્થળ પર ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડના જવાન ડયૂટી પર હાજર જ હતા. ક્રોધ એ તરફ ફંટાયો હતો ખૂદ ડીસીપી સહિતના અધિકારીઓએ ટોળાને કે ક્રોધે ભરાયેલા લોકોને સમજાવવા એક તબક્કે હાથ જોડવા પડયા હતા.
આવા દ્રશ્યો બાદ પોલીસે લાઠીઓનો ઉપયોગ કાર્યો હતો. ટોળાને લાઠીથી ફટકાર્યા હતા. જેને લઇને બે મત પ્રવર્ત્યા હતા કે પોલીસે મોતનો મલાજો ન જાળવ્યો કે નાલેશી ઉઘાડી ન થાય, શાસકોનું ખરાબ ન દેખાય વધૂ ટોળા એકઠા ન થાય એટલે વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો ? કે ખરેખર જો પોલીસ લાઠીચાર્જ, બળપ્રયોગ ન કરે ત કે ન કર્યો હોતતો સ્થિતિ વધૂ વિસમ કે કહેવત મુજબ ટોળાંને હોય તેમ અન્ય વાહનો કે લોકોને બાનમાં લેવાય કે આવી ગંભીર સ્થિતિ બને તેવું દેખાયુ હોય અને પોલીસે ના છૂટકે બળ પ્રયોગ કરવો પડયો હશે ?